પુલવામા: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં મોડી રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આંતકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલાનો માસ્ટરમાઈન્ડ કામરાન ઉર્ફે ગાઝી રશીદ પણ મરાયો હોવાની શક્યતા છે. જોકે હજી આ વિશે કોઈ ઓફિશિયલી માહિતી આપવામાં આવી નથી. અંદાજે 11 કલાકથી ચાલતા એન્કાઉન્ટરમાં આ સિવાય અન્ય પણ એક આતંકી ઠાર કરાયો હોવાની શક્યતા છે. મોડી રાતથી સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મેજર સહિત 4 જવાન શહીદ થયા છે. જ્યારે એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું હોવાની માહિતી મળી છે. છેલ્લાં ચાર દિવસમાં રાજ્યમાં થયેલી આતંકી ઘટનામાં 45 જવાનોના મોત થયા છે.
સોમવારે વહેલી સવારથી અહીં એન્કાઉન્ટર શરૂ થયું છે. આજે શહીદ થયેલા ચાર જવાન 55 રાષ્ટ્રીય રાઈફલ્સના હતા. તેમાં મેજર વીએસ ધૌંદિયાલ, કોન્સ્ટેબલ શિવરામ, સૈનિક અજય કુમાર અને હર સિંહ સામેલ છે. 4 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. શનિવારે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં એક આઈઈડીને બોમ્બને નિષ્ફળ કરવામાં સેનાના મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થઈ ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સેનાને આ વિસ્તારમાં ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. માનવામાં આવે છે કે, પુલવામા હુમલાનું કાવતરુ ઘડનાર અબ્દુલ રશીદ ગાજી પણ અહીં જ છુપાયેલો છે. તેની શોધ ચાલુ છે.
પુલવામા હુમલા પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પુલવામામાં સીઆરપીએફ જવાનો પર હુમલો ધૃણિત છે. જવાનોની શહીદ વ્યર્થ નહીં જાય. સમગ્ર દેશ જવાનોના પરિવાર સાથે ઉભો છે. રાહુલે પણ આ હુમલાની નિંદા કરીને દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ ખૂબ કાયરાના હરકતથી હું ખૂબ દુખી છું.