અમેરિકન કંપની હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડાને કારણે વિપક્ષે ગત રોજ દેશની સંસદમાં હંગામો મચાવ્યો હતો. ઘટતા શૅરના કારણે અદાણી ગ્રુપની માર્કેટ મૂડીમાં ભારે ઘટાડો થયો છે. અદાણી મામલે હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીએ કહ્યું છે કે ભારતની સ્થિતિ પર કોઈ પણ પ્રકારની અસર થઈ નથી.
નાણામંત્રીએ કહ્યું, છેલ્લાં બે દિવસમાં આપણો વિદેશી હૂંડિયામણનો ભંડાર વધીને 80 લાખ ડોલર થયો છે. FPO આવતા-જતા રહે છે પરંતુ અદાણીના કેસથી ભારતની છાપ અને સ્થિતિને કોઈ અસર થઈ નથી. તેમણે કહ્યું હતું કે નિયમનકારો તેમનું કામ કરશે. રિઝર્વ બેંકે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે એફપીઓ અગાઉ પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રોકાણકારોની ચિંતા દૂર કરતાં કહ્યું હતું કે, દેશની બેન્કિંગ સિસ્ટમ ફ્લેક્સિબલ અને સ્ટેબલ રહે છે. આરબીઆઈએ કહ્યું કે તે સતર્ક છે અને દેશના બેંકિંગ ક્ષેત્રની સ્થિરતા પર નજર રાખી રહી છે. નિયમનકાર અને નિરીક્ષક તરીકે આરબીઆઈ નાણાકીય સ્થિરતા જાળવવાના હેતુથી બેન્કિંગ ક્ષેત્ર અને વ્યક્તિગત બેન્કો પર સતત નજર રાખી છે.
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપે બુધવારે પોતાની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝની 20,000 કરોડ રૂપિયાની ફોલો-ઓન પબ્લિક ઓફર (એફપીઓ) પાછી ખેંચી લીધી છે. હિંડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડો થવા લાગ્યો હતો. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓ 85 ટકા ઓવરવેલ્યુડ છે.