નવી દિલ્હીઃ આર્મી ચીફ બિપિન રાવતે દિલ્હીમાં વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પહેલી વખત અફઘાનિસ્તાન મુદ્દે નિવેદન કર્યું. રાવતે કહ્યું કે જો ભારતનો અફઘાનિસ્તાન સાથે કોઈ સંબંધ છે તો તાલિબાન સાથે વાતચીત કરવાની દિશામાં આપણે પણ સામેલ થવું જોઈએ.
સેના પ્રમુખે કહ્યું કે અફઘાનિસ્તાનના મામલામાં ભારતની સત્તાવાર નીતિ તાલિબાનની સાથે સામેલ ન થવાની રહી છે. જો કે અમેરિકા, રશિયા, ઈરાન અને પાકિસ્તાન હંમેશાથી તાલિબાનની સાથે વાતચીતમાં સામેલ રહ્યાં છે.
આતંકીઓ પાસે હજુ પણ ઘરે પરત ફરવાનો સમય
જમ્મુ કાશ્મીરના મુદ્દે રાવતે કહ્યું કે, “ત્યાં પહેલાં સ્થિતિ નિયંત્રણમાં લાવવાની જરૂર છે. અમે ત્યાં કડક અને નરમ એમ બંને વલણ અપનાવીએ છીએ, પરંતુ આતંકીઓની પાસે પોતાના ઘરે પરત ફરીને શાંતિ અપનાવવાનો વિકલ્પ હજુ પણ છે. તેઓએ જોવું જોઈએ કે તેની અસર કોની પર પડી રહી છે? માત્ર કાશ્મીરીઓ પર જ.”
અલગતાવાદીઓને સ્પષ્ટ- વાત બંદૂક સાઈડમાં રાખો
આર્મી ચીફે કહ્યું કે, “અલગતાવાદીઓ સાથેની વાતચીત માટે અમારી શરત એકદમ સ્પષ્ટ છે. તમે બંદૂક સાઈડમાં રાખો અને પડોસીઓની મદદ લેવાનું બંધ કરો. વાત માત્ર ત્યારે જ થશે જ્યારે હિંસા બંધ થશે. ભારતીય જવાન જાણી જોઈને સામાન્ય લોકોને નિશાન નથી બનાવતા. પરંતુ તમે જાણો છો કે કેટલાંક આતંકી પડોસમાંથી કામ કરે છે અને સરહદ પાર કરવાના પ્રયાસો કરે છે. એટલા માટે એક સામાન્ય નાગરિક અને આતંકી વચ્ચે તફાવત કરવો ઘણું જ મુશ્કેલ હોય છે.”
DRDO ટાર્ગેટ પૂરો નહીં કરે તો હથિયાર ઇમ્પોર્ટ કરીશું
રાવતે કહ્યું કે DRDO અમને ફેબ્રુઆરી–માર્ચના અંત સુધી જણાવી દેશે કે તેઓ કયાં સુધી મિસાઈલ અને રોકેટના ઓર્ડરને પૂરાં કરી શકે છે. જો તેઓ આ વખતે પણ હથિયારોની આપૂર્તિમાં નિષ્ફળ રહ્યાં તો આપણે આયાત વ્યવસ્થા પર ધ્યાન દેવું જોઈએ. તેઓએ કહ્યું કે 20 જાન્યુઆરીએ સેનાની ઉત્તરી કમાન્ડને નવી સ્નાઈપર રાયફલ મળી જશે.