અમદાવાદ: શહેરમાં સ્વાઈન ફલૂથી વર્ષ 2018માં કુલ 29 અને 2019ના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના માં 23 સાથે કુલ 52 લોકોના મોત થયા છે. મૃત્યુના આ તમામ કેસનું ડેથ ઓડિટ નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા કરવામાં આવ્યું છે. આમાં હજુ બે કેસ પેન્ડિંગ છે પણ જે 38 કેસનું ઓડિટ થયું છે તેમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, મૃત્યુ પામનારા મોટા ભાગના લોકોને ગંભીર બીમારી ઉપરાંત સ્વાઈન ફલૂ પણ હતો. બે વ્યક્તિ દારૂની ટેવવાળા હોવા ના કારણે મૃત્યુ થયા છે.સ્વાઈન ફ્લૂ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં જીવલેણ સાબિત થયો છે. મૃત્યુનું કારણ માત્ર સ્વાઈન ફલૂ જ છે કે કેમ તે માટે મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા ચાર નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા ડેથ ઓડિટ કરાવવામાં આવ્યું હતું.
2018 દરમિયાન થયેલા કુલ 29 મૃત્યુમાં મહદઅંશે ડાયાબિટીસ, હાયપરટેન્શન, કિડની જેવી જીવલેણ બીમારી હોવાનું સ્પષ્ટ થયું છે. છેલ્લા ત્રણ મહિનાના મૃત્યુના કિસ્સામાં પણ આ જ તારણ મળ્યા છે. જ્યારે માત્ર સ્વાઈન ફલૂથી જ મોત થયા હોય તેવા 12 દર્દીનો સમાવેશ થાય છે. જેમને યોગ્ય અથવા સમયસર સારવાર નહીં મળી હોવાના કારણે મૃત્યુ થયા છે. ફેબ્રુઆરીમાં મૃત્યુ પામેલા 23 દર્દીમાં 13 મહિલા અને 10 પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે 2018ના વર્ષમાં મૃત્યુ પામેલા 29 દર્દીમાં 14 મહિલા, 15 પુરુષ હતા. 15 મહિનામાં 4 વર્ષના બાળકથી માંડી 71 વર્ષના વૃદ્ધ સુધીની વય ગ્રૂપના લોકોના મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનામાં શહેરમાં સ્વાઈન ફ્લૂના 1178 કેસ નોંધાયા છે.