ગુજરાત એટીએસએ રથયાત્રા પહેલાં જ બોગસ આઈડી પ્રુફથી અમદાવાદમાં રહીને આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર પ્રસાર કરતાં ચાર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. તે ઉપરાંત અન્ય કેટલાક આરોપીઓ એટીએસની કસ્ટડીમાં હોવાની વિગતો પણ સામે આવી છે. બાંગ્લાદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના આદેશથી ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર ચાલતું હતું. તે ઉપરાંત આતંકવાદ માટે વિદેશમાંથી ભંડોળ એકત્ર કરવાના પણ કેટલાક પુરાવા એટીએસના હાથે લાગ્યા હોવાની માહિતી મળી છે.
રથયાત્રા પહેલાં જ આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ એટીએસએ આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે, સોજીબમીયાં, આકાશખાન, મુન્નાખાન અને અબ્દુલ લતિફ નામના બાંગ્લાદેશી માણસો ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી બોગસ આઈડી પ્રુફ બનાવી હાલમાં અમદાવાદના ઓઢવ અને નારોલ વિસ્તારમાં રહે છે.
આ ચારેય ઈસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા છે. તેઓ મુસ્લિમ યુવાનોને અલકાયદામાં જોડાવા પ્રેરિત કરે છે. તેમજ અલકાયદા તન્ઝીમનો ફેલાવો કરવા માટે ફંડ ઉઘરાવી તેના આગેવાનોને પહોંચાડે છે. આ ઈનપુટના આધારે ગુજરાત એટીએસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને મોહમ્મદ સોજીબમીયાં અહેમદઅલીની પુછપરછ કરવામાં આવી હતી. એટીએસ દ્વારા કરાયેલી પુછપરછમાં સોજીબમીયાંએ કહ્યું હતું કે, તે બાંગ્લાદેશના મ્યેમનસિંહ જિલ્લાના ખુદરો ગામનો રહેવાસી છે.