અમદાવાદ: પુલવામામાં સીઆરપીએફના જવાન પર હુમલાની ઘટનાના દેશવાસીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. દેશભરમાં દેશવાસીઓએ આ ઘટનાનો વિરોધ કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે. તો કેટલાકે પાકિસ્તાનના ઝંડાને રોડ પર દોરીને તેના પરથી વાહનો પસાર કરવાની ઘટનાઓ નોંધાઈ છે. પ્રહલાદનગર ચાર રસ્તા પરના કેમ્પસ કોર્નર-2માં આવેલી કરાચી બેકરી ખાતે રવિવારે બપોરે હ્યુમન રાઈટની મહિલાઓએ બેકરીમાંથી કરાચીનું નામ દૂર કરવાની ધમકી આપવાની સાથે તે નામ પર અખબારના પાનાઓ ચોંટાડી દીધાં હતાં.
મહિલાઓ ગઈ પછી કરાચીના નામ પર ચોટાડેલા કાગળો બેકરીના વ્યક્તિઓએ હટાવી લીધાં હતા. તેની સાથે અગમચેતીના પગલે આનંદનગર પોલીસ મથકે આ અંગેની અરજી આપી છે. આ અંગે મેનેજર રાજેશ પારવાનીએ જણાવ્યું કે, હૈદરાબાદ ખાતે કંપની આવેલી છે. આ કંપનીનું કરાચી બેકરીના નામથી 1953માં રજિસ્ટ્રેશન થયેલું છે. હૈદરાબાદ ઉપરાંત દિલ્હી એરપોર્ટ તથા અમદાવાદમાં છેલ્લાં એક વર્ષથી બેકરી ચાલે છે, જેમાં 100થી વધુ આઈટમનું વેચાણ થાય છે. રવિવારે બપોરે 40થી 50 મહિલાઓનું ટોળું આવીને કરાચી નામ દૂર કરવા કહીને તેના નામ પર કાગળો ચોંટાડી દીધા હતા. નામ કોઈપણ હોય. અમે અને કંપનીના માલિક મનોજ રામનાની પણ હિન્દુસ્તાની છીએ. અમારા દિલમાં હિન્દુસ્તાન છે.