અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથ ઉપર બિરાજમાન થઇ ભકતજનોને દર્શન આપવા નીકળશે ત્યારે મંદિર દ્વારા અલગ અલગ કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી. 1200થી વધુ દેશ-વિદેશના સાધુ સંતો આ રથયાત્રામાં ભાગ લઇ રહ્યા છે.
દર વખતની જેમ અમદાવાદની રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈનના સાધુ સંતો પણ આવશે. ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાંથી મોસાળાબાદ 2 જુલાઈએ નેત્રોત્સવ પૂજા કરવામાં આવશે. તે દિવસે સવારે 10 કલાકે મહાઆરતીમાં રાજ્યપાલ O.P કોહલી ખાસ ઉપસ્થિત રહેશે.
તો બીજી તરફ સવારે 11 કલાકે ખાસ સાધુ સંતોના ભંડારામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ હાજર રહેશે. 3 જુલાઈએ સવારે 8 વાગે સોનાવેશના દર્શન ભક્તો માટે ખાસ ખુલ્લા મૂકવામાં આવશે. 3 જુલાઇએ સાંજે 6 કલાકે મુખ્યમંત્રી રૂપાણી ભગવાન જગન્નાથજીની વિશેષ પુજા કરશે. તો 4 જુલાઈ વહેલી સવારે 4 વાગે મંગળાઆરતી કરવામાં આવશે. દરવખતની જેમ આ વર્ષે પણ અમિત શાહ અને વિજય રૂપાણી હાજર રહીને પહિન્દ વિધિમાં હાજરી આપશે.
જોકે કેન્દ્રમાં ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહ પ્રથમવાર ગુજરાત આવવાના છે. જેને લઈ ગુજરાત પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આ સાથે મુસ્લિમ સમાજ કોમી એકતાના સંદેશ સાથે ચાંદિનો રથ ભેટ સ્વરૂપે આપશે.