બોલિવૂડ ડેસ્કઃ ‘ગદર’ અને ‘કહોના પ્યાર હૈ’ જેવી ફિલ્મોથી જાણીતી અમીષા પટેલ પર ફરી એકવાર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. એક ફિલ્મ પ્રોડ્યુસરે અમીષા પટેલ અને તેના બિઝનેસ પાર્ટનર કુણાલ પર 2.5 કરોડ રૂપિયા પરત ન કરવાનો આરોપ લગાવ્યો છે અને આ બંને સામે એફઆઈઆર નોંધાવી છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અમીષા અને કુણાલે ‘દેશી મેજિક’ નામની એક ફિલ્મ માટે પ્રોડ્યુસર અજય કુમાર સિંહ પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા. આ ફિલ્મ વર્ષ 2013માં બનવાની શરૂ થઈ હતી. અમીષાએ ફિલ્મ પ્રોડ્યુસરને જણાવ્યું હતું કે આ ફિલ્મ 2018 સુધીમાં સમાપ્ત થઈ જશે અને ફિલ્મની રિલીઝ બાદ તે બધા પૈસા વ્યાજ સાથે પરત કરશે. આ વિશે આગળ વાત કરતાં અજયે જણાવ્યું કે, ‘આ ફિલ્મ રિલીઝ ના થઈ. જ્યારે મેં આ વિશે અમીષાને પૂછ્યું તો તેણે 3 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. મેં એ ચેક જ્યારે બેંકમાં ભરાવ્યો તો તે બાઉન્સ થઈ ગયો. જ્યારે મેં આ વિશે અમીષાને કહ્યું તો અમીષાએ કહ્યું કે હવે તે પૈસા નહીં આપે. અમીષાએ ઈન્ડસ્ટ્રીના જાણીતા લોકો સાથે તેનો ફોટો બતાવી મને ધમકાવ્યો પણ ખરો. મને એવું પણ કહ્યું કે આ વર્ષે આ ફિલ્મ રિલીઝ થઈ જશે પણ એ વિશે હજી સુધી મને કોઈ જાણકારી મળી નથી.’
થોડા સમય પહેલાં પણ અમીષા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો. એક ઈવેન્ટ કંપનીએ તેની પર આરોપ લાગાવ્યો હતો કે આ એક્ટ્રેસે કાર્યક્રમમાં સામેલ થવા માટે પૈસા લીધા હતા પણ પછી તે આ કાર્યક્રમમાં આવી નહોતી. અમીષા સિવાય બી-ટાઉનનાં જોન અબ્રાહમ અને રાજપાલ યાદવ પર પણ અગાઉ છેતરપિંડીના આરોપ લાગ્યા હતા. ફિલ્મ ‘પરમાણુ’ને લઇને પ્રોડ્યુસર પ્રેરણા અરોરાએ જોન પર 50 ટકા પ્રોફિટ લઈ લેવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે રાજપાલ યાદવે તેની ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે વર્ષ 2010માં દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી અને ફિલ્મ રિલીઝ થવા છતાં પણ તેણે પૈસા પરત કર્યા નહોતા. આ મુદ્દે કોર્ટે તેને 6 મહિના ની જેલની સજા સંભળાવી હતી. તો હવે અમીષા સામે લાગેલા છેતરપિંડીના આરોપનો શું ઉકેલ આવે છે તે જોવું રહ્યું.