ભાજપ દ્રારા વિવિધ ઉમેદવારોને ટિકિટોની ફાળવણીને પગલે અનેક જગ્યાએથી અસંતોષની બૂમ ઉઠી છે. અમદાવાદના દાણીલીમડાની બેઠક પરથી ભાજપે નરેશ વ્યાસને ટિકિટ આપતા કાર્યકરો-આગેવાનોમાં ભારે આક્રોશ છે.તેઓએ નરેશની સામે સોશિયલ મીડિયામાં બળાપો કાઢવાનુ શરૂ કર્યુ છે. ભાજપના આગેવાનો-કાર્યકરો કહે છે કે, નરેશ વ્યાસ પહેલેથી જ વિવાદાસ્પદ રહ્યા છે. પોતાને ટિકિટ નહી મળતા પોતાના માણસો પાસેથી ભાજપના સત્તાવાર ઉમેદવારની વિરૂધ્ધમાં મતદાન કરાવ્યુ હતુ. દરેક ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસના તેમજ મુસ્લિમ બિલ્ડરો જોડેથી રૂપિયા લેવામાં તેઓ માહિર છે.
તેમના કારણે જ 2012માં ભાજપના ગિરીશ પરમાર અને 2017માં જીતુ વાઘેલા જેવા સમર્થ ઉમેદવારો દાણીલીમડા વિધાનસભાથી હાર્યા હતા. પ્રદેશના નેતાઓ આ બધી બાબતો જાણતા હોવા છત્તા તેની સામે રહસ્યમય કારણોથી કોઈ કાર્યવાહી કરી નહોતી. ભૂતકાળમાં ભાજપના એક કાર્યકરની પત્ની સાથે આડા સંબંધના લીધે મોટો હંગામો થયેલ હતો. જે મામલો પણ મણીનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. અન્ય એક મહિલા સાથે બગીચામાં રંગરેલીયા મનાવતા હોય તે વિડીયો વાઈરલ થયો હતો. પોતે કાઉન્સિલર તેમજ હેલ્થના ચેરમેન હતા ત્યારે પગાર લેવા કોર્પોરેશનની ઓફિસે જતા ન હતા.અને ચિક્કાર પીધેલા રહેતા હતા એવો ગંભીર આક્ષેપ કાર્યકરોનો છે મુસ્લિમ બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરીને દલિત સોસાયટીઓ વેચાવીને દલિતોને બેઘર કરવામાં તેમનું બહુ મોટું પ્રદાન હોવાની વાત કાર્યકરો સોશિયલ મીડિયામાં કરી રહ્યાં છે.
ઉપરાંત દાણીલીમડા વિધાનસભાના પ્રભારી પ્રવીણ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે રહીશોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં હિન્દુ મંદિર ઉપર મુસ્લિમ ફ્લેટનું નિર્માણ થયું હતુ. પ્રભારી પ્રવીણ પટેલે દાણીલીમડા વિધાનસભાના માત્ર ઉત્તર ગુજરાતના લોકોનું જ સમાધાન કરાવીને સંગઠન સીધું કરવાનો પ્રયાસ કર્યો જેમાંથી સૌરાષ્ટ્ર લોબીને બહાર રાખતા સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ ખૂબ નારાજ છે. આ વિધાનસભામાં સૌરાષ્ટ્રના 60 થી 70 હજાર મતદારો છે. ભાજપે આવો વિવાદિત ઉમેદવાર મૂકીને કોંગ્રેસ માટે રસ્તો સરળ કરી દીધો છે.