- Advertisement -
મુંબઈ:આગામી લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગવાની તૈયારીમાં છે. ત્યારે મુંબઈ શહેરની ગુજરાતી મતદારોની બહુમતીવાળી મુંબઈ નૉર્થ-ઈસ્ટ લોકસભા-સીટ પર ત્રણ ગુજરાતીઓ વચ્ચે જંગ ખેલાવાની શક્યતા રાજકીય પંડિતો જોઈ રહ્યા છે. આ લોકસભા વિસ્તારમાં કોંગ્રેસનો એકમાત્ર ચહેરો પ્રવીણ છેડા રાજકીય સમીકરણો જોતાં BJPમાં પ્રવેશતાની સાથે લોકસભાની આ સીટ પર દાવેદારી નોંધાવવાની પૂરી શક્યતા જોવાઈ રહી છે.
ત્રણ ગુજરાતીઓ વચ્ચે જંગ ખેલાશે
હાલના સંસદસભ્ય કિરીટ સૌમૈયા અને BJPના કદાવર ગુજરાતી વિધાનસભ્ય અને મહારાષ્ટ્ર રાજ્યના ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતા પણ ગુજરાતી હોવાના નાતે BJPમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે નામ ચર્ચાઈ રહ્યું છે. આ જોતાં આગામી દિવસોમાં BJPની અંદર જ આ બેઠક પર ત્રણ ગુજરાતી નેતાઓ વચ્ચે જંગ ખેલાય એવી પૂરી સંભાવના છે.
ભાજપ તરફથી ઓફર મળશે તો ચોક્કસ વિચારીશ-છેડા
મીડિયા સાથેની વાતચિતમાં પ્રવીણ છેડાએ કહ્યું કે ભાજપ તરફથી ઓફર મળશે તો ચોક્કસ વિચારીશ. જ્યારે પ્રકાશ મહેતાએ કહ્યું કે પક્ષ જેને ટિકિટ આપશે તેને જિતાડવાની જવાબદારી મારા સહિતના આગેવાનોની છે. જ્યારે કિરીટ સૌમેયાએ કહ્યું કે અત્યારે હું કંઈ નહીં કહુ પણ માર્ચના બીજા અઠવાડિયામાં હું મારો મત પ્રગટ કરીશ
6માંથી એક પણ સીટ પર કૉંગ્રેસ-NCPનો સભ્ય નથી
મહત્વનું છે કે અખબારી અહેવાલો અને રાજકીય નિષ્ણાતોમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર શિવસેનાએ હાલના સાંસદ કિરીટ સૌમેયાની ઉમેદવારી સામે વિરોધ પ્રગટ કર્યો છે. એ સંજોગોમાં યુતિમાંથી BJPમાંથી કોઈ પણ ગુજરાતી મતદારોનું પ્રભુત્વ ધરાવતી મુંબઈની નૉર્થ-ઈસ્ટ લોકસભા-સીટ પર એક કરતાં વધુ ગુજરાતી ઉમેદવાર તરીકે આગામી સમયમાં એક કરતાં વધુ દાવેદારી જોવા મળશે. બઈની નૉર્થ-ઈસ્ટ લોકસભા-સીટમાં 6 વિધાનસભા વિસ્તાર આવે છે. જેમાં મુલુંડ, ઘાટકોપર ઈસ્ટ-વેસ્ટ, ભાંડુપ ઈસ્ટ-વેસ્ટ અને ટ્રોમ્બે છે. હાલમાં BJP પાસે ત્રણ, શિવસેના પાસે બે અને સમાજવાદી પક્ષનો એક વિધાનસભ્ય છે, જયારે કૉંગ્રેસ- NCPનો એક પણ વિધાનસભ્ય નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં હાલમાં BJP અને શિવસેના વચ્ચે જોડાણ થઈ ચૂક્યું છે, જ્યારે કૉંગ્રેસ-NCP વચ્ચે સત્તાવાર જોડાણની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
લોકસભા સીટ પર NCPની દાવેદારીની શક્યતા!
આ સંજોગોમાં જો કોંગ્રેસ-NCPનાં જોડાણ બાદ આ લોકસભા સીટ પર NCPની દાવેદારીની શક્યતા રાજકીય પંડિતો જોઈ રહ્યા છે. ગત લોકસભા ઇલેક્શનમાં પણ NCPનો ઉમેદવાર સંજય પાટીલ હતો અને યુતિનો ઉમેદવાર કિરીટ સૌમેયા હતો એટલે કે શિવસેનાએ આ સીટ પર દાવેદારી કરી નહોતી. આ સંજોગોમાં કોંગ્રેસ અને શિવસેનાની આ પરંપરાગત સીટ નથી. આ લોકસભા વિસ્તારમાં ગુજરાતી મતદારોની સંખ્યા વધુ હોવાથી રાજકીય વિશ્લેષકોના ગણિત મુજબ મુલુંડ, ઘાટકોપર ઈસ્ટ-વેસ્ટના મતદારો જે પક્ષ તરફ રહે તે આ લોકસભાના જંગમાં જીતની શક્યતા વધુ રહે છે.