વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશીની તિથિએ ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો. આ દિવસે નૃસિંહ જયંતિ ઉજવાય છે. ભગવાનનું આ સ્વરૂપ શક્તિ, પરાક્રમ અને શત્રુના નાશનું પ્રતીક છે. આ વર્ષે નૃસિંહ જયંતી 17મેના રોજ ઉજવાશે. ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ આ અવતાર ધર્યો હતો અને દૈત્ય રાજા હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો. ભગવાન વિષ્ણુના 10 અવતારોમાંથી એક છે નૃસિંહ અવતાર. આ અવતારમાં ભગવાનનું અડધું શરીર સિંહનું અને અડધું માનવનું હતું.
પૌરાણિક કથા અનુસાર કશ્યપ નામના ઋષિ અને દિતિ નામની તેમની પત્નીના બે પુત્ર હતા. જેમાંથી એક હરિણ્યાક્ષ અને બીજો હિરણ્યકશ્યપુ હતો. હિરણ્યાક્ષને ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરી વધ કર્યો હતો. પોતાના ભાઈનો બદલો લેવા માટે હિરણ્યકશ્યપએ કઠોર તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કરી વરદાન પ્રાપ્ત કર્યું. તેને વરદાન મળ્યું હતું કે તેને માણસ કે પશુ મારી ન શકે, દિવસ કે રાત્રિમાં તેનું મૃત્યુ ન થાય, જમીન, જળ કે વાયુમાં તેનું મૃત્યુ થાય નહીં. આ વરદાન મેળવી તે પ્રજા અને સ્વર્ગના દેવતાઓ પણ અત્યાચાર કરવા લાગ્યો. આ દરમિયાન તેને ત્યાં પુત્રનો જન્મ થયો તેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું. રાક્ષસ કુળમાં જન્મ થયો હોવા છતાં પ્રહલાદ ભગવાન નારાયણનો પરમભક્ત હતો અને તે પોતાના પિતાનો વિરોધ કરતો.
પુત્રને નારાયણની ભક્તિ કરતો અટકાવવા માટે હિરણ્યકશ્યપએ અનેક પ્રયત્ન કર્યા પરંતુ કોઈ ઉપાય કામ ન લાગ્યા. પ્રહલાદ પોતાના પિતાના અત્યાચાર છતા પોતાની ભક્તિના માર્ગથી દૂર થયો નહીં. ક્રોધને વશ થઈ તેણે પોતાના પુત્રને મારી નાંખવાનો પણ પ્રયત્ન કર્યો પણ દર વખતે ભગવાનએ તેની રક્ષા કરી. હોલિકા સાથે ભસ્મ કરવાની યોજના પણ દૈત્ય રાજની નિષ્ફળ રહી હતી. એક દિવસ જ્યારે પ્રહલાદ ભગવાન નારાયણની ભક્તિમાં લીન હતો ત્યારે ક્રોધિત દૈત્ય રાજ તેની પાસે આવ્યા અને તેને પુછ્યું કે, જે નારાયણની તુ ભક્તિ કરે છે તે આ દુનિયામાં છે? આ વાતના જવાબમાં પ્રહલાદએ જણાવ્યું કે ભગવાન કણકણમાં છે. આ વાત સાંભળી હરિણ્યકશ્યપએ પોતાની ગદાથી એક થાંભલો તોડતા કહ્યું કે અહીં છે તારો નારાયણ ?. પ્રહલાદની ભક્તિને વશ થઈ ભગવાનએ નૃસિંહ સ્વરૂપે તે થાંભલામાંથી અવતાર ધર્યો અને હરિણ્યકશ્યપનો વધ કર્યો.
નૃસિંહ જયંતી પર ભગવાન વિષ્ણુના આ અવતારની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને સ્વચ્છ કપડા ધારણ કરી ઘરના મંદિરમાં લાલ વસ્ત્ર પર નૃસિંહ ભગવાન અને લક્ષ્મીજીની સ્થાપના કરવી. તેમની પૂજા ષોડષોપચારથી કરવી અને મેવા, પુષ્પ, કંકુ, કેસર ચઢાવી ઓમ નરસિંહાય વરપ્રદાય નમ: મંત્રનો જાપ કરવો. આ દિવસે ઉપવાસ રાખવો.
આ પૂજા કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. કોર્ડ કચેરીના કેસ જેમને ચાલતા હોય તેમણે આ પૂજા ખાસ કરવી. આ પૂજા કરવાથી વિજય પ્રાપ્ત થાય છે. નોકરી માટે ઈંટરવ્યુ આપવા જવાનું હોય કે ઉપરી અધિકારી સહયોગ ન કરતા હોય ત્યારે પણ આ પૂજા કરવાથી લાભ થાય છે. કોઈપણ આકસ્મિક સંકટ આવી જાય ત્યારે નૃસિંહ ભગવાનને યાદ કરી મંત્ર જાપ કરવાથી ચિંતા દૂર થાય છે અને સંકટમાં રક્ષણ થાય છે.
નૃસિંહ મંત્રનો જાપ કરવાથી ગર્ભવતી મહિલાઓની પ્રસવ પીડા દૂર થાય છે અને સ્વસ્થ બાળકનો જન્મ થાય છે. ભૌતિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ નૃસિંહ ભગવાનની પૂજા કરવી જોઈએ. આ પૂજા કરવાથી જાતકના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.