નવી દિલ્હી: એરસેલ-મેક્સિસ કેસમાં આરોપી અને પૂર્વ નાણાપ્રધાન પી. ચિંદબરમના દીકરા કાર્તિ ચિદબરમ માટે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. કોર્ટે કાર્તિને કહ્યું છે કે, તેઓ ઈડીની પૂછપરછમાં તેમને સહયોગ કરે. જો તેઓ ઈડીને સહયોગ નહીં કરે તો કોર્ટ વધુ કડક વલણ અપનાવી શકે છે. કાર્તિના એકાઉન્ટથી પણ લેણ-દેણ અટકાવવામાં આવી છે. આ કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કાર્તિ ચિદંબરમને 5, 6, 7 અને 12 માર્ચે ઈડીની પૂછપરછમાં રજૂ થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યા છે કે, વિદેશ જવા માટે કાર્તિ ચિદંબરમને રજિસ્ટ્રી સાથે રૂ. 10 કરોડ જમા કરાવવા પડશે.
સીજેઆઈ રંજન ગોગોઈએ કાર્તિના વકીલને કહ્યું- તમારે જવું હોય તો જાઓ, તમારે જે કરવું હોય તે કરો પરંતુ 5, 6, 7 અને 12 માર્ચે કોર્ટમાં રજૂ થઈ જજો. તમારા ક્લાઈન્ટને જણાવી દે જો કે જો તેઓ તપાસમાં સહયોગ નહીં કરે તો અમે કડક વલણ અપનાવીશું. સુપ્રીમ કોર્ટે કાર્તિને ચેતવણી આપતાં કહ્યું કે, જો તે સહયોગ નહીં કરે તો કોર્ટ ઉચિત આદેશ જાહેર કરશે.
નોંધનીય છે કે, કાર્તિ ટેનિસ મેચ રમવા વિદેશ જવાની મંજૂરી માંગવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આઈએનએક્સ મીડિયા મામલે CBIની રેડ કોર્નર નોટિસના કારણે કાર્તિએ દર વખતે વિદેશ જવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડે છે. કોર્ટે તેમની સુનાવણીમાં એવું પણ કહ્યું હતું કે, જો કાર્તિ તપાસમાં સહયોગ નહીં કરે તો તેને ટેનિસ માટે વિદેશ જવાની મંજૂરી મળશે નહીં. તે ઉપરાંત કોર્ટે ઈડીને પણ કહ્યું કે, તેઓ કઈ તારીખોમાં કાર્તિની પૂછપરછ કરવા માગે છે? જેથી કોર્ટ નક્કી કરી શકે કે, કાર્તિ તપાસમાં સહયોગ પણ કરે અને વિદેશ પણ જઈ શકે.
શું છે કેસ?
કાર્તિ વિરુદ્ધ ઘણાં કેસમાં ઈડી અને સીબીઆઈની તપાસ ચાલી રહી છે. તેમાં 2007માં આઈએનએક્સ મીડિયાને વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરી અપાવવા અને 2006માં એરસેલ- મેક્સિસ કેસમાં અનિયમિતતાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે સીબીઆઈએ તેમના ઘરે અને ઓફિસ પર દરોડા પાડ્યાં હતા. કાર્તિની 28 ફેબ્રુઆરી 2018ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારપછી તેને જામીન આપવામાં આવ્યા હતા.