અમદાવાદ: ગાંધીધામ કોર્ટે માનસિક રીતે અસ્વસ્થ યુવતીને તેની માતા અને બહેનની હત્યાના કેસમાં કરેલી ફાંસીની સજા હાઇકોર્ટે રદ્ કરી છે. હાઇકોર્ટે ગંભીરતાથી નોંધ્યું કે, 19 વર્ષની યુવતી તેની માનસિક બીમારી અને ગરીબીને કારણે યોગ્ય કાનૂની સહાય ન મેળવી શકી તો તેને અન્યાય ન થવો જોઇએ. અનુભવી વકીલો સિવાય લીગલ એઇડ ફારસ સમાન હોવાનું કોર્ટે ગણાવ્યું હતું.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ એ.સી. રાવની ખંડપીઠે નોંધ્યું હતું કે, સરકારી વકીલે એ ન ભૂલવું જોઇએ કે તે પહેલા કોર્ટના અધિકારી છે. તેની પ્રાથમિક ફરજ કોર્ટ સમક્ષ તમામ સત્ય હકીકત રજૂ કરવાની હોય છે. કોઇપણ વ્યક્તિ કોર્ટની ભૂલને કારણે પરેશાન ન થવી જોઇએ.
દુર્ભાગ્યે 19 વર્ષની ગરીબ અને નિ:સહાય યુવતી તેના બચાવ માટે અનુભવી વકીલ રોકી શકી ન હતી. તેણે લીગલ એઇડમાંથી વકીલ મેળવ્યા હતા. 15 દિવસમાં આ બીજો કેસ છે જેમાં કોર્ટે જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીને લીગલ એઇડ માટે વકીલોની યાદી બનાવવા સૂચન કર્યું છે. લીગલ એઇડ એક ફારસ સમાન બની ગયું છે. નવા વકીલોને તાલીમ આપવા માટે લીગલ એઇડ સર્વિસ ન થતી.
સેશન્સ કોર્ટમાં હત્યા જેવા કેસમાં સાક્ષીઓની તપાસ કરવી તે બાળકોનો ખેલ નથી. ગરીબી, નિરક્ષરતા કે એવા કોઇપણ કારણસર જ્યારે આરોપી તેના બચાવ માટે યોગ્ય વકીલ ન રોકી શકે ત્યારે કોર્ટની ફરજ બને છે કે તેને સરકારી ખર્ચે યોગ્ય લીગલ એઇડ મળે. 16મી ફેબ્રુઆરી 2017ના રોજ યુવતીએ તલવારથી માતા અને બેનની હત્યા કરી હતી.
જ્યારે પણ કોઇ આરોપીની ધરપકડ થાય અને તેની વર્તણૂક અસામાન્ય કે માનસિક અશાંતિવાળી લાગે ત્યારે તપાસ અધિકારીએ તેને તપાસ માટે તબીબ સામક્ષ રજૂ કરી જરૂરી સર્ટિફિકેટ મેળવો. જો આરોપી માનસિક રીતે અસામાન્ય જણાય તો તેને સારવાર માટે દાખલ કરી તે સામાન્ય સ્તરે પહોંચ્યાનું સર્ટિફિકેટ મેળવવું જોઇએ. ત્યાં સુધી કેસ આગળ ન વધી શકે.