છોટાઉદેપુરમાંથી જૈન મુનિએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જૈન મુનિ ડોક્ટર રાજેન્દ્ર વિજય ગનીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેઓ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે. તેઓ આદિવાસી રાઠવા સમાજમાંથી જૈન મુનિ બન્યા છે. શૈક્ષણિક, વ્યસન મુક્તિ સહિતના કામોમાં રાજેન્દ્ર વિજય સક્રિય છે.
જૈન મુનિ રાજેન્દ્ર વિજય મહારાજે ક્વાંટમાં ધરણા યોજ્યા હતા
રાઠવા જાતિના દાખલા મુદ્દે આંદોલનમાં પણ મુનિજી સક્રિય છે. તાજેતરમાં ઉપવાસને કારણે ચર્ચામાં આવ્યા હતા. જૈન મુનિ તાજેતરમાં જ છોટાઉદેપુરના આદિવાસી સમાજના લોકો સાથે અન્યાયના મુદ્દે જૈન મુનિ રાજેન્દ્ર વિજય મહારાજે ક્વાંટમાં ધરણા યોજ્યા હતા. રાજેન્દ્ર મહારાજે ચાર દિવસ સુધી પ્રતિક ઉપવાસ કર્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ રાઠવા સમાજના લોકોને છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા હેરાન કરાતા હોવાના આક્ષેપો સમાજના લોકોએ કર્યા છે. સરકાર દ્વારા તેમની જાતિ પર સવાલો ઉભા કરાઇ રહ્યા છે. સરકારનું કહેવું છે કે કેટલાક આદિવાસી લોકો જાતિના ખોટા દાખલા મેળવી નોકરી તેમજ અન્ય લાભો મેળવી રહ્યા છે. જેના કારણે આ વિસ્તારના જ જૈન મુનિએ સરકાર સામે બાંયો ચડાવી ધરણા શરૂ કર્યા છે.
ભાજપ, કોંગ્રેસના ચૂંટણી ઈચ્છુક નેતાઓમાં ખળભળાટ વ્યાપી ગયો
આદિવાસી માટે અનામત છોટાઉદેપુર બેઠક ઉપર હાલ ભાજપના રામસિંગ રાઠવા સાંસદ છે. સંત મુનિ મહારાજ ઘણા વર્ષોથી વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક અને વ્યસન મુક્તિની પ્રવૃતિઓ કરે છે તો રાઠવા જાતિના દાખલા મુદ્દે મહારાજની આગેવાનીમાં આંદોલન ચાલી રહ્યું છે. તમામ રાજકીય પક્ષ ના મોટા નેતાઓ સાથે નિકટના સબંધ ધરાવતાં જૈન મહારાજે ચૂંટણી લડવાની જાહેરાત કરતા ચૂંટણી લડવા થનગની રહેલા ભાજપ કોંગ્રેસના ઈચ્છુક નેતાઓમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
સરકાર આદિવાસીઓને ઇરાદાપૂર્વક હેરાન કરી રહી છે
જૈન મુનિનું કહેવું છે કે સરકાર આદિવાસીઓને ઇરાદાપૂર્વક હેરાન કરી રહી છે. આથી આદિવાસી સમાજના લોકોને ન્યાય મળે તે માટે તેમણે સરકારને રજૂઆત કરી છે. પરંતુ કોઇ ઉકેલ નથી આવ્યો.
BJP કે કોંગ્રેસ ?
એક રાષ્ટ્રીય સંત હોવાને કારણે બધા જ રાજકીય પક્ષકારો સાથે રાજેન્દ્ર મુનિનો સારો પરિચય છે પરંતુ, તાજેતરના સરકાર સામેના તેમના આંદોલનને કારણે કોંગ્રેસ મુનિને પોતાની તરફ ખેંચીને રાઠવા સમાજના વોટબેંકને પણ ધ્યાને લઈ શકે છે.