જૂનાગઢ:સોમવારે મોડી રાત્રે ગીર જંગલની પાસે આવેલા વિસાવદરનાં કાકચીયાળા ગામમાં દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. જેમાં મહિલાનું મોત નિપજ્યું હતું. વન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, દીપડાનાં હુમલામાં મૃત્યુ પામનાર મહિલાનું નામ શારદાબેન સમજુભાઇ વાવૈયા (ઉંમર વર્ષ 52)છે. શારદાબેન ઘરમાં એકલા સૂતા હતાં. ત્યારે રાત્રે દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને તેમને ઉપાડી ગયો હતો. જે બાદ મહિલાની લાશ ઘરની બાજુમાંથી મળી આવી હતી. છેલ્લા દોઢ મહિનામાં દીપડાનાં હુમલામાં ત્રણ વ્યક્તિઓનાં મૃત્યુ થયા હતા. જ્યારે બીજી તર ઉનાના ખાત્રીવાડા ગામની સિમમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટનાના પગલે વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દીપડાના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જ સામે આવશે.