થોર અત્યાર સુધી આપણે શ્રીનાથજીના મંદિરમાં પ્રસાદના રૂપમાં જ ખાધો છે. કારણ કે, તે ઘરમાં બનાવવો થોડો અશક્ય લાગતો હોય છે. પરંતુ આજે અમે ઘરે થોર બનાવવાની રેસિપી લઈને આવ્યાં છીએ, જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને વધુ સમય પણ નથી લાગતો.
મઠડીની પુરીની સામગ્રીઃ
– 2 વાડકી મેંદો
– 1 વાડકી ઝીણો રવો
– ½ વાડકી ઘઉંનો લોટ
– મુઠ્ઠી વળે મોણ માટે ઘી
– 2 ચમચી અધ કચરેલા તલ
ચાસણીની સામગ્રીઃ
– 2 વાડકી સાકર
– સાકર ડૂબે તેટલું પાણી
– 2 ચમચી દૂધ
– થોડુંક કેસર (ઓપ્શનલ)
ચાસણી બનાવવાની રીતઃ
2 વાડકી સાકર લઈ તેમાં સાકર ડૂબે તેટલું પાણી મૂકવું. તેને ધીમા તાપે ગરમ કરવા મૂકો. જ્યારે પાણી ઉકળવા માંડે ત્યારે તેમાં 2 ચમચી દૂધ મૂકવું જેથી સાકરનો મેલ ઉપર તરી આવશે. આ મેલ કાઢી નાખવો અને ફરીથી ઉકળવા દેવું. એમાં ગમે તો કેસર નાખવું (વાટ્યા વગરનું જેથી તેનાં રેસા દેખાય અને સુગંધી પણ આવે). આ ચાસણી બે તારી એટલે કે પતાસુ બનવાની તૈયારીમાં હોય ત્યારે તેને બંધ કરી દેવી.
બીજી બાજુ ઉપરોક્ત લોટ ભેગા કરી તેમાં તલ ઉમેરવા. તેમાં મુઠ્ઠી વળે તેટલા ઘીનું મોણ નાખી દૂધથી પરોઠા જેવો લોટ બાંધવો. ત્યારબાદ નાના દસ્તાથી થોડો થોડો લોટ કૂટતા જવાનો અને જોઈએ તે પ્રમાણે નાની અથવા મોટી જાડી પૂરી વણવી. તેની ઉપર ચપ્પુથી કાપા પાડવા જેથી ફૂલે નહીં. આ પૂરીને ધીમા તાપે ઘીમાં ગુલાબી થાય ત્યાં સુધી તળવી.
બધી પૂરી તળાઈ જાય ત્યારબાદ ઉપરોક્ત ગરમ ચાસણીમાં એક એક પૂરી ડૂબાવતા જવાની અને પૂરી પર ચાસણી ચોંટે ત્યારે ઠંડી પાડવા બહાર કાઢી લેવી. તેને એવી રીતે મૂકવી કે એકબીજા સાથે ચોંટે નહીં. તૈયાર છે સ્વાદિષ્ટ થોર.