નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરની લેન્ડ લાઈન પર ધમકીવાળો ફોન આવ્યો હતો. સોમવારે સવારે કોઈએ તેમને ફોન કરીને ધમકીવાળા અવાજમાં કહ્યું કે, ટૂંક સમયમાં જ તેઓ કેજરીવાલને જોઈ લેશે. કેજરીવાલની ઓફિસ તરફથી ડીસીપી નોર્થને આ વિશે માહિતી આપવામાં આવી હતી. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેજરીવાલના ઘરની લેન્ડલાઈન પર સોમવારે સવારે 10.45 મિનિટે એક ફોન આવ્યો હતો.ફોન કરનારે ધમકીવાળા અવાજમાં કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં જ કેજરીવાલને જોઈ લેશે. કેજરીવાલની ઓફિસથી ડીસીપી નોર્થને આ વિશે માહિતી આપવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ફોન દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાંથી આવ્યો હતો.
કોલ કરનારે ધમકી આપતા કહ્યું કે, તે વિકાસપુરીમાં વિકાસ ટેન્ટ હાઉસમાં કામ કરે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, કોલ કરનારનું નામ ભોલો છે. તે કેજરીવાલ પર હુમલો કરી શકે છે. ત્યારપછી તેણે ફોન કાપી નાખ્યો હતો.
પોલીસે ફરિયાદના આધારે FIR નોંધી લીધી છે. જોકે પોલીસ હજી તપાસ કરી રહી છે કે, ફોન વિકાસપુરમાંથી જ આવ્યો છે કે, અન્ય કોઈ વિસ્તારમાંથી. પોલીસ તે વ્યક્તિને પણ શોધવાનો પ્રયત્ન કરી રહી છે જેણે ફોન કર્યો હતો.
થોડા સમય પહેલાં દીકરીને આવ્યો હતો ધમકીવાળો ઈમેલ
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં એક વ્યક્તિએ સીએમ કેજરીવાલના ઓફિશિયલ ઈમેલ પર ધમકીવાળો મેઈલ મોકલીને દીકરીને બચાવી શકે તો બચાવી લે, અમે તેનું અપહરણ કરી લઈશું કહ્યું હતું. સ્પેશિયલ સેલની સાઈબર યૂનિટના જણાવ્યા પ્રમાણે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની દીકરીને જેણે ધમકી આપી હતી તેની ઓળખ બિહારના મોતિહારીમાં રહેતા વિકાસ તરીકે થઈ હતી.
આરોપી એક વિદ્યાર્થી હતો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં પોલીસે એનસીઆર પણ દાખલ કરી હતી. આ ધમકી પછી પોલીસે કેજરીવાલની દીકરી હર્ષિતાની સુરક્ષા પણ વધારી દીધી હતી. આ કેસની તપાસ સાઈબર સેલ પાસે છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેણે મજાકમાં ધમકીવાળો ઈમેલ કર્યો હતો.