નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલાં તણાવ વચ્ચે ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ભારતમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ પ્રમાણે આતંકી સંગઠન દેશમાં એક મોટો હુમલો કરી શકે છે. આ એલર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના આતંકી ગ્રૂપ જમ્મુ-કાશ્મીર સિવાય હાઈ વેલ્યુ ટાર્ગેટ પર હુમલો કરી શકે છે.
આતંકી હુમલાનું એલર્ટ
જૈશ-એ-મોહમ્મદના પકડાયેલા અન્ય આતંકીઓ તરફથી આ વાતનો ખુલાસો થયો છે. એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના સીનિયર અને પ્રખ્યાત નેતા, રેલવે લાઈન, તેલ ડેપો અને રાઈટ વિંગ સાથે જોડાયેલા લોકો આતંકીઓના નિશાના પર છે. તે ઉપરાંત આર્મી અને પોલીસના તે નિવૃત્ત ઓફિસર જેમણે આતંકવાદ અથવા ખાલિસ્તાન મૂવમેન્ટ દરમિયાન આતંકીઓની ધરપકડ કરી હતી તે પણ આતંકીઓના નિશાના પર છે. એલર્ટમાં દરેક રાજ્યના પોલીસને આદેશ આપવામાં આવ્યો છે કે, જૂના આતંકી કેસમાં સંલિપ્ત જૈશ, લશ્કર, IM અને આ પ્રકારના આતંકી સંગઠન જેવા કે સિમીના પકડવામાં આવેલા આતંકીઓ પર નજર રાખવામાં આવે.
29 જગ્યાઓ આતંકીઓના નિશાના પર
એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હીની 29 મહત્વની જગ્યાઓને આતંકીઓ ટાર્ગેટ કરી શકે છે. એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હીમાં ઈન્ડિયા ગેટ, સેના ભવન, પ્રેસિડન્ટ હાઉસ, સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ, સરોજની નગર બજાર, ચાંદી ચોક, પાલિકા બજાર, લક્ષ્મી નારાયણ મંદિર, લોટસ ટેમ્પલ, લાલ કિલ્લા, નેશનલ ચીફ જસ્ટિસનું ઘર સામેલ છે. દિલ્હી એરપોર્ટનો પાર્કિંગ એરિયા, દિલ્હી રેલવે સ્ટેશન, દિલ્હી વિશ્વ વિદ્યાલય, એઈમ્સ, મોલ્સ સિનેમા હોલ, ડિફેન્સ કોલેજ, અક્ષરધામ મંદિર, MEA અને દિલ્હી મેટ્રો આતંકી સંગઠનોના નિશાના પર છે. તે સાથે જ એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયલ, યુએસ અને યુકેની એમ્બેસી ઉપર પણ હુમલો થઈ શકે છે. આ એલર્ટ પછી ઈન્ટેલિજન્સ એજન્સી સચેત થઈ ગઈ છે.