કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે નવજોતસિંહ સિદ્ધુને 24 કલાકમાં જવાબ આપવા માટે પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવજોતસિંહ સિદ્ધુએ ભોપાલમાં એક રેલી દરમિયાન પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી અને તેને લઈને ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે.
વિવાદીત નિવેદનોને લઇ ચર્ચામાં રહેતા કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું છે. જેને લઇને ભાજપના ચૂંટણી પંચ કમિટિના સભ્ય નિરજ તરફથી ફરિયાદ મળી હતી કે 29મી એપ્રિલના રોજ ભોપાલમાં એક જનસભાને સંબોધન દરમિયાન સિદ્ધુએ પીએમ મોદી વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.
નવજોતસિંહ સિદ્ધુએ ભોપાલ રેલી દરમિયાન કહ્યું હતુ કે, 2014માં તમે ગંગાના લાલ બનીને આવ્યા હતા. હવે 2019માં તમે રાફેલના દલાલ બનીને જશો. તમારાથી મોટા રાષ્ટ્રદ્રોહી જોયા નથી. જવાનોની શહીદી પર રાજકારણ થાય છે. દેશને વહેચવાની રાજનીતિ થાય છે.
અગાઉ પણ નવજોતસિંહ સિદ્ધુ આપી ચૂક્યા છે વિવાદીત નિવેદન
ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજયસિંહ માટે ચૂંટણી પ્રચાર કરતી વખતે પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેઓએ કહ્યું કે, એક એવી સિક્સ મારો કે મોદી હિન્દુસ્તાનની બહાર ફેંકાઇ જાય. તેમણે કહ્યું હતું કે, જ્યારે હું સિક્સ મારતો હતો તો બોલ બાઉન્ડ્રી પાર જતો. તમે મારાથી પણ વધુ શક્તિશાળી છો. એવી સિક્સ મારો કે મોદી હિન્દુસ્તાનની બહાર મારો. સિક્સ મારી આ સરકારને બહાર કરવાનો સમય આવી ગયો છે.
તમને જણાવી દઇએ કે, સિદ્ધુ પર અગાઉ ચૂંટણી પંચે ધર્મના નામ પર મત માગવાને લઇ 72 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારે ફરી એકવખત સિદ્ધુએ મોદી સામે વિવાદીત નિવેદનને લઇને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે.