- Advertisement -
ઇસ્લામાબાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચરુ ઉકળી રહ્યો છે ત્યારે પાકિસ્તાન સેનાએ ફરી એક વખત મોટો અને ખોટો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર આસિફ ગફૂરે દાવો કર્યો કે તેમના ફાઈટર પ્લેને ભારતના અનેક વિસ્તારોમાં બોમ્બ ફેંક્યા છે. તેઓએ કહ્યું કે અમારો હેતુ ભારતને અમારી સેનામાં કેટલો દમ છે તે દેખાડવાનો હતો.
પાયલટને પકડ્યા હોવાના ખોટાં દાવાઓ
પાકિસ્તાની સેના દાવો કરે છે કે તેઓએ ભારતના બે પાયલટને પકડ્યાં છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફુરે કહ્યું કે અમે અમારી સ્ટ્રાઈકમાં પ્રયાસો કર્યા હતા કે કોઈને નુકસાન ન પહોંચે. અમે 6 ટાર્ગેટ નક્કી કર્યા હતા, જે બાદ અમે સ્ટ્રાઈક કર્યું. બિમ્બરગરી સહિત અનેક વિસ્તારો અમારા ટાર્ગેટમાં હતા. અમે ફ્કત એટલું બતાવવા માગતા હતા કે અમે બધું જ કરી શકીએ છીએ, પરંતુ વિસ્તારમાં શાંતિ બની રહે તે માટે કંઈ જ નથી કરી રહ્યાં.
સાથે જ તેઓએ દાવો કર્યો કે ભારતના બે ફાઈટર પ્લેન LoC પાર કરીને પાકિસ્તાનની સરહદમાં આવ્યા હતા અને તેમના પર નિશાન સાધ્યું. એક ભારતની જમીન પર અને બીજું પાકિસ્તાનની જમીન પર પડ્યું. બંને પાયલટની ધરપકડ કરી છે. એક ઘાયલ છે અને બીજો પકડમાં છે. તેમની પાસેથી અનેક કાગળો મળ્યાં છે.
F-16 નથી તોડ્યું- પાકિસ્તાની સેના
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે ભારતે કોઈ F 16 વિમાન નથી તોડ્યું, અમે આ ઓપરશેનમાં તેનો ઉપયોગ જ કર્યો ન હતો. આસિફ ગફૂરે કહ્યું કે તેઓ ઈચ્છત તો ભારતીય સેનાના ઠેકાણાં અને પ્રશાસનિક ઓફિસોને નિશાન બનાવી શકતા હોત પરંતુ તેઓએ એવું ન કર્યું.