આ વર્ષે એટલે કે 26મી ફેબ્રુઆરીના રોજ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી. એક એવો પરફેકટ હુમલો કે જેમાં 100થી વધુની સંખ્યામાં આતંકી માર્યા ગયા હતા. આ મિશન માટે ભારતીય વાયુસેનાએ અનેક દિવસો સુધી અભ્યાસ કર્યો હતો. હુમલો ક્યારે કરવાનો છે… કેવી રીતે તેને પાર પાડવો.. તેની કોઈને ગંધ પણ આવી દીધી નહોતી. આ સિક્રેટ મિશન વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વાયુ સેનાના સિનિયર અધિકારી અને માત્ર પાયલટ જ જાણતા હતા. આ એર સ્ટ્રાઇકને અંજામ આપનારા ખુદ બે પાયલટોએ કરી છે. આ બંનેએ નામ ના જણાવવાની શરતે બાલાકોટમાં એર સ્ટ્રાઇકની સમગ્ર વાત જણાવી છે.
ભારતીય વાયુસેનાએ 5 સ્પાઇસ બોમ્બ કર્યા હતા બાલાકોટમાં લોન્ચ
એક યુવા સ્કવાડ્રન લીડરનું કહેવું છે કે અમે મિશનની પહેલાં બહુ બધી સિગરેટ પી નાંખી હતી. તેમણે કહ્યું કે અમને જ્યારે મિશનની ખબર પડી તો અમે થોડાંક માનસિક ઉતાર-ચઢાવમાંથી પસાર થઇ રહ્યા હતા. 26મી ફેબ્રુઆરીએ સવારે 2 થી 4 વાગ્યાની વચ્ચે મિરાજે સર્જિકલ સ્ટ્રાઇક માટે એરબેઝથી ઉડાન ભરી હતી. ટાર્ગેટ હતો બાલાકોટમાં જૈશનો આતંકી અડ્ડો. પાયલટે જણાવ્યું કે એર સ્ટ્રાઇકના થોડા સમય પહેલા જ તેમની ટ્રેનિંગ શરૂ થઈ ગઈ હતી. ભારતીય વાયુસેનાના મિરાજ 2000ના ત્રણેય સ્ક્વાર્ડન તેની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ભારતીય વાયુસેનાએ 5 સ્પાઇસ બોમ્બને બાલાકોટમાં લોન્ચ કર્યા હતા.
મિશન પર જનારા પાયલટને જાણકારી નહોતી
કોઈને ખબર નહોતી કે કોણ મિશન માટે જવાનું છે. મિરાજ પ્લેન સતત ઉડાન ભરી રહ્યા હતા અને પોતાના ટાર્ગેટ સુધી પહોંચવા માટે અભ્યાસ કરી રહ્યા હતા. તે સમયે પ્લેનોમાં કોઈ પણ પ્રકારના પેલોડ નહોતા લાગ્યા. જે દિવસે એર સ્ટ્રાઇક થવાની હતી, તેના એક દિવસ પહેલા જ સાંજે ચાર વાગ્યાની આસપાસ એરક્રાફ્ટ મેન્ટેનન્સ ટીમને જણાવવામાં આવ્યું કે મિરાજમાં કયા-કયા બોમ્બ અને મિસાઇલ લગાવવામાં આવશે. સ્પાઇસ 2000 અને ક્રિસ્ટલ મેજ બોમ્બને અલગ-અલગ જેટમાં લોડ કરવામાં આવ્યા હતા.
6-6 મિરાજ પ્લેનોના બે પેકેજ માટે જે 12 પાયલટોની પસંદગી થઈ હતી, તેમાંથી એક પાયલટે જણાવ્યું કે આમ તો તૈયારી રોજ થઈ રહી હતી અને તેઓ કોઈ અભિયાનનો હિસ્સો બનવા માટે તૈયાર રહેતા હતા, પરંતુ જે સમયે તેમને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા તો તેઓ ખૂબ ઉત્સાહિત હતા. જોકે, તેઓ પરિવાર અને મિત્રોની સામે સામાન્ય વ્યવહાર કરી રહ્યા હતા. જેના કારણે આ મિશનને ગુપ્ત રાખી શકાય. મૂળે, આ મિશનની સફળતા ટકી હતી તેની ગોપનીયતા પર અને તે ભારતીય વાયુસેના માટે સૌથી મોટો પડકાર હતો જેને સારી રીતે અંજામ આપવામાં આવ્યો હતો.
પાયલટોએ એ વધુમાં કહ્યું કે તેઓ નક્કી કરેલા સમયે મિશન પૂરી કરી આપણી સરહદમાં પાછા આવી ગયા હતા. જે 6 મિરાજને સ્પાઇસ બોમ્બ ફેંકવાના હતા તેના માટે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા કે બોમ્બ ડ્રોપ કરીને તાત્કાલીક પરત ફરવાનું છે. એક પાયલટે જણાવ્યું કે ટાર્ગેટની પાસે પહોંચતા જ પહેલેથી જ પ્રોગ્રામ કરેલા સ્પાઇસ બોમ્બ તેમણે રિલીઝ કરી દીધા અને માત્ર 60થી 90 સેકન્ડમાં તે ભારતીય સીમાની પાસેના એરફીલ્ડમાં લેન્ડ કરી દીધું. આ મિરાજના પેકેજ પર ભારતીય વાયુસેનાના બીજા પ્લેન પણ સતત નજર રાખી રહ્યા હતો અને સપોર્ટ પણ આપી રહ્યા હતા. બીજા સ્કવાડ્રન લીડરે કહ્યું કે આ આખું ઓપરેશન અઢી કલાકમાં પૂરું થયું હતું. બંને પાયલટોએ લક્ષ્યો પર સ્પાઇસ 2000 સેટેલાઇટ ગાઇડેડે બોમ્બ ફેંકયા હતા.
બંને પાયલટોને જ્યારે પૂછવામાં આવ્યું કે સ્ટ્રાઇક બાદ તેમણે શું કર્યું હતું? આ સવાલના જવાબમાં તેમનું કહેવું હતું કે તેઓ બે દિવસ સુધી બસ આરામ કરતા રહ્યા અને ઊંઘતા રહ્યા. મૂળ તેઓ સતત અભ્યાસના કારણે ઘણા થાકી ગયા હતા. પરંતુ જેવી મિરાજની એર સ્ટ્રાઇકમાં સામેલ થવાની વાત સામે આવી તો તેમના પરિવારે ફોન અને વોટ્સઅપ પર કોલ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ આ બંનેએ પોતપોતાના ફોન બંધ કરી દીધા હતા. એટલું જ નહીં પાયલટોએ સ્ટ્રાઇક પહેલા અને બાદમાં કોઈ પ્રકારની રજા પણ નહોતી લીધી.