તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાનું કહેવું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતનો હોઇ શકે છે. તેમણે જણાવ્યું કે તેમણે પોતાના જીવનના 60 વર્ષ ભારતમાં પસાર કર્યા છે અને અહીંથી તેમનો ઉત્તરાયધિકારી હોઇ શકે છે. તેમણે ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું કે ચીન દ્વારા ઘોષિત કરવામાં આવેલા કોઇપણ ઉત્તરાધિકારીને સન્માન નહી મળે.
દલાઇ લામા દ્વારા તિબેટ છોડવાની તિથી પર તેમણે ધર્મશાલામાં મીડિયા સાથે વાત કરતાં આ વાત કરી. તેમણે કહ્યું કે ચીન માટે દલાઇ લામાનો પુર્જન્મ ઘણો મહત્વનો છે. તેથી તેમના માટે મારા કરતાં વધુ ચિંતાનો વિષય આગામી દલાઇ લામા છે.
તેમણે કહ્યું કે જો તમે ભવિષ્યમાં બે દલાઇ લામા જુઓ, જેમાં એક આઝાદ દેશમાંથી આવ્યો છે અને બીજો ચીનમાંથી આવ્યો છે. તો સ્પષ્ટ છે કે ચીન દ્વારા ઘોષિત દલાઇ લામાને સન્માન નહી મળે. તેવામાં આ ચીનની એક અલગ સમસ્યા છે. આ વાતની સંપૂર્ણ શક્યતા છે કે આવનારા સમયમાં આવી સ્થિતી ઉભી થઇ શકે છે.
જણાવી દઇએ કે ચીને પાછલા દિવસોમાં કહ્યું હતું કે તેમના નેતાઓ પાસે દલાઇ લામાનો ઉત્તરાધિકારી પસંદ કરવાનો અધિકાર છે. આ પરંપરા ચીની શાસકો તરફથી જ અગાઉના દોરમાં શરૂ કરવામાં આવી હતી. જો કે તેવા તિબેટીયન મોટી સંખ્યામાં છે જે કહે છે કે દલાઇ લામાના મૃત્યુ પર તેમની આત્મા એક બાળકના શરીરમાં અવતરીત થાય છે અને આ પ્રક્રિયામાં ચીન તરફથી કોઇપણ ખોટી હરકત થશે તો સમુદાય પર તેનો પ્રભાવ પડશે.