સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ એન.જી.ઓ. ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સિહોર આઇ.ટી.આઇ. ખાતે “પોકસો એક્ટ” અંગે માહિતી અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં સિનિયર પી.એલ.વી. (પેરા લીગલ વોલન્ટિયર) સભ્ય માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી મોબાઈલ ઉપર વ્યસ્ત અને મસ્ત હોય છે ત્યારે મોબાઇલના દૂરોપયોગ દ્વારા છાશવારે સગીર બાળકો ઉપર થતાં અત્યાચારો, શારીરિક શોષણ, છેડતી, અપહરણ, બળાત્કાર જેવાં કિસ્સાઓ અખબારોમાં વાંચવા મળે છે. અમૂક કહેવાતાં વિકૃત માનસિકતા ધરાવતાં યુવાનો મોબાઈલનો દૂરોપયોગ કરીને પોર્નોગ્રાફી ફિલ્મ્સ કે છીછરાં દ્રશ્યોને લઈ પોતાના મિત્રો કે અન્યો સાથે ચેટ કરતાં હોય છે. ત્યારે આવાં કિસ્સાઓને લઈ સગીર બાળાઓને લલચાવી- ફોસલાવી અકૃત્ય ઘટનાઓના બનાવો બનતાં હોય છે જેથી તે અંગેની જાગૃતિ લાવવી આજના સમયની જરૂરીયાત છે.
સગીર બાળકો ઉપર આવી ઘટનાઓ ન બને તે માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દરેક જિલ્લા, તાલુકાઓમાં કોલેજ, માધ્યમિક શાળાઓ, આઇ.ટી.આઇ. તેમજ બિન સરકારી સંસ્થાઓ દ્વારા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવે છે અને તે અંગેની જાણકારી આપવામાં આવે છે. સિહોરની આઇ.ટી.આઇ. ખાતે ઈન્ચાર્જ આચાર્ય ભાવેશભાઈ શાહ, મહેશભાઈ આહિર સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં તેમજ બહોળી સંખ્યામાં આઇ.ટી.આઇ. ના વિદ્યાર્થીઓ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સિહોરના ચેરમેન એસ.કે. વ્યાસના આદેશને લઈ તેમજ સેક્રેટરી યશપાલસિંહ ગોહિલ, કશ્યપભાઈ બાબરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ સિહોર કાનૂની સેવા સમિતિના પી.એલ.વી. સિનિયર મેમ્બર હરીશભાઈ પવાર, આનંદભાઈ રાણા અને રાજેશભાઈ આચાર્ય દ્વારા “પોકસો એક્ટ” અંગે આ સેમિનારમાં વિશદ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.