ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવ પ્રવીણ કક્કડના ઈન્દોર સ્થિત નિવાસસ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં છે. ન્યૂઝ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ દરોડા માટે આવકવેરા વિભાગની ટીમ દિલ્હીથી આવી છે. અધિકારીઓએ શનિવારે રાત્રે 3 વાગ્યે બંને ઠેકાણાં પર કાર્યવાહી શરૂ કરી. ભોપાલમાં પણ મુખ્યમંત્રીના કેટલાંક નજીકના લોકોના ઠેકાણાં પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 9 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
આવકવેરા વિભાગના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે 500 અધિકારી ઈન્દોર, ગોવા અને દિલ્હીના 50 ઠેકાણાં પર એક સાથે કાર્યવાહી કરી રહ્યાં છે. જેમાં રાતુલ પુરી, અમિતા ગ્રુપ, મોજર બિયર સામેલ છે.
કોણ છે કક્કડ?: પ્રવીણ કક્કડ પૂર્વ પોલીસ અધિકારી છે. તેમને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. 2004માં નોકરી છોડીને તેઓ કોંગ્રેસ નેતા કાંતિલાલ ભૂરિયાના ઓએસડી બન્યાં. ડિસેમ્બર 2018માં કમલનાથના ઓએસડી બની ગયા. નોકરીમાં હતા તે દરમિયાન તેમના વિરૂદ્ધ અનેક મામલાઓ સામે આવ્યાં જેની તપાસ ચાલી રહી છે.