નવી દિલ્હીઃ 5 વર્ષ પહેલાં મુઝફ્ફરનગરમાં થયેલાં રમખાણ મામલે કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપતા તમામ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. આ પહેલાં કોર્ટે કવાલ ગામના એક હુમલામાં બે યુવકોની હત્યાના આરોપમાં બુધવારે સાત લોકોની દોષી ગણાવ્યાં હતા. આ હુમલા બાદ 2013માં મુઝફ્ફરનગરમાં હિંસા ભડકી ઊઠી હતી જેમાં 60થી વધુ લોકોનાં મોત નિપજ્યા હતા.
જિલ્લા કલેકટર રાજીવ શર્માએ જણાવ્યું કે જિલ્લા અને સત્ર ન્યાયાધીશ હિમાંશુ ભટનાગર 27 ઓગસ્ટ, 2013નાં રોજ ગૌરવ અને સચિનની હત્યા તથા રમખાણના ગુનામાં મુઝમ્મિલ, ફુરકાન, નદીમ, જહાંગીર, અફઝલ અને ઈકબાલને દોષી જાહેર કર્યા હતા. સરકારી વકીલ અંજુમ ખાને જણાવ્યું કે બુલંદશહર જેલમાં બંધ દોષિતોને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર કરાયા હતા. પર્યાપ્ત સુરક્ષા ન મળવાને કારણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ન હતા.
મૃતક ગૌરવના પિતા રવિન્દ્ર કુમારે 7 લોકોને દોષિત જાહેર કર્યા પછી કહ્યું કે, અમને કોર્ટ પર વિશ્વાસ હતો અને અમને એ પણ ખબર હતી કે ચુકાદો આવવામાં ઘણો સમય થઈ જશે. હવે જોઈએ છીએ કે, આગળ શું થાય છે. માત્ર અમે જ જાણીએ છીએ કે અમે તેને હંમેશા માટે ગુમાવી દીધો છે. જ્યારે ગૌરવની માતાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે, આરોપીઓને મોતની સજા મળવી જોઈએ. તેમણે કોઈ પણ કારણ વગર મારા દીકરાને મારી નાખ્યો છે.
FIR મુજબ, જનસઠ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતાં કવાલ ગામનાં બે યુવકની હત્યા કરવામાં આવી હતી. કોર્ટે 10 સાક્ષી અને બચાવમાં ઉતરેલાં 6 લોકોના નિવેદન સાંભળ્યા બાદ 7 લોકોને દોષી જાહેર કર્યાં હતા. બચાવપક્ષના વકીલના આધિકારિક આંકડા મુજબ 2013ના રમખાણ બાદ 6000થી વધુ મામલાઓ દાખલ કરાયા હતા અને રમખાણમાં કથિત ભૂમિકા માટે 1480 સંદિગ્ધ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. મામલાની તપાસ કરતી વિશેષ ટીમે 175 મામલાઓમાં આરોપપત્ર દાખલ કર્યું હતું. ત્યારે આજે સજાની જાહેરાત થયા બાદ આરોપી પક્ષ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવાની તૈયારીમાં છે.