મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેના 27 જાન્યુઆરીએ યોજાનારા લગ્નની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. ચર્ચા પાછળનુ કારણ એ છે કે લગ્ન માટે રાજ ઠાકરે દ્વારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પૂર્વ પીએમ મનમોહનસિંહ, શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સહિતના નેતાઓને આમંત્રણ મોકલાયા છે પણ હજી સુધી પીએમ મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહને ઈન્વિટેશન કાર્ડ પહોંચ્યુ નથી.
શું આ બંને નેતાઓને આમંત્રણ નહી આપીને ઠાકરે મોદી વિરોધી ગઠબંધનને કોઈ સંદેશો આપવા માંગે છે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે.મોદીનો વિરોધ કરનારાઓમાં આજકાલ રાજ ઠાકરે પણ સામેલ છે. તેમણે આ માટે જ કાર્ટૂન બનાવવાનુ પાછુ શરુ કર્યુ છે.તેમણે મોદી મુક્ત ભારતનુ એલાન પણ આપ્યુ છે.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આમંત્રણ આપીને રાજ ઠાકરે લોકસભાની ચૂંટણી માટેના કોંગ્રેસના ગઠબંધનમાં સામેલ થવા માંગતા હોવાની પણ ચર્ચા છે.જોકે કોંગ્રેસ માટે રાજ ઠાકરેની ઉત્તર ભારતીયોના વિરુધ્ધની છબીને જોતા નિર્ણય લેવો થોડુ મુશ્કેલ થઈ રહ્યુ છે.