અમદાવાદ: આજે વહેલી સવારે જમાલપુર શાક માર્કેટ અને એનઆઈડી વચ્ચે પસાર થતી સાબરમતી નદીમાં યુવક અને યુવતીના મૃતદેહ મળ્યા હતા. બંનેએ રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધીને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. રિવરફ્રન્ટ પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
સાબરમતીમાં મળેલા બંનેના મૃતદેહ નદીના પાણીમાં લાંબો સમય પડી રહ્યા હોવાથી સફેદ પડી ગયો હતો. બંનેએ મોડી રાત્રે આપઘાત કર્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. બંને પ્રેમીપંખીડા હોવાની શક્યતા છે.
યુવતી સાથે નદીમાં ઝંપલાવનાર યુવાનનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું. જેને આધારે તેની ઓળખ કમલેશ પરમાર તરીકેની થઈ હતી. તે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુસા ગામનો વતની હતો. જ્યારે યુવતી કોઈ છે તેની માહિતી મળી નથી.
પ્રેમીપંખીડા ઉપરાંત કામા હોટલ પાસે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કુલ મળીને સાબરમતીમાં કુદીને 3 વ્યક્તિએ મોત વ્હાલું કર્યું હતું.