રાજકોટ: રાજકોટના હડાળા ગામે આવેલા ખાખીબાપુ છેલ્લા ત્રણ મહિનાથી લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. બીડીવાળા અને ખાખીબાબા તરીકે ઓળખાતા નગીનભાઇ આંબલીયા પોતે બીડીના ધૂપથી લોકોના દુઃખ દર્દ મટાડી દેતા હોવાનો દાવો કરતા હતા. સોમવારે રાત્રે વિજ્ઞાન જાથાએ પોલીસને સાથએ રાખી રેડ પાડી હતી અને લેખિત ખાત્રીમાં બાબાએ આ ધતિંગ બંધ કરી પોતાની દુકાન ફરી શરૂ કરશે તેવી કબૂલાત આપી હતી.
દર મંગળ, ગુરૂ અને શનિવારે 20 હજારથી વધુ લોકો આવતા
બીડીના ધૂપથી જટિલ બિમારી દૂર થતી હોવાનો દાવો કરતા હોવાથી દર મંગળ, ગુરૂ અને શનિવારે લોકોની ભીડો જામવા લાગી હતી. હડાળા ગામે આવા ધતિંગ ઢોંગી બાબા પાસે સારવાર કરાવવા માટે 20 હજારથી વધુ લોકો આવતા હતા. બાદમાં મીડિયાના માધ્યમથી આવા ઢોંગી બાબાની કારતૂત સામે આવતા પોલીસ અને વિજ્ઞાન જાથા એક્શનમાં આવી હતી. બાદમાં ગત મોડીરાત્રે કુવાડવા પોલીસ અને વિજ્ઞાન જાથાએ ખાખી બાબાને પકડી તેમની પાસે લેખિતમાં ખાત્રી માંગી હતી.
બાબા કોઇ પૈસા ન લેતા હોવાથી પોલીસે ગુનો દાખલ ન કર્યો
બાબાએ ખાત્રી આપી હતી કે તે આજથી આ કામ બંધ કરશે અને આવતીકાલથી પોતે પોતાનો ધંધો ફરી શરૂ કરી દેશે તેવી ખાત્રી આપતા પોલીસે ખાખીબાપુનું નિવેદન નોંધ્યું હતું અને ખાખીબાપુ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ કર્યો ન હતો. ખાખીબાપુ દર્દીઓ પાસેથી કોઈ પૈસા કે અન્ય ચીજવસ્તુઓ માંગતા ન હોવાથી પોલીસે અને વિજ્ઞાનજાથા ખાખી બાપુ વિરુદ્ધ કોઈ પગલાં લીધા ન હતા.