Sunday, February 16, 2025
Homeરાજકોટ / ખાનગી શાળાઓના વળતા પાણી, આ વર્ષે 2303 બાળકોએ સરકારી શાળામાં...
Array

રાજકોટ / ખાનગી શાળાઓના વળતા પાણી, આ વર્ષે 2303 બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ લીધો

- Advertisement -

રાજકોટ:આજના મોંઘા શિક્ષણને લઇ હવે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે હરીફાઈ શરૂ થઇ છે. ખાનગી શાળાઓમાં અશિક્ષિત શિક્ષકો, વધતી ફી, વાલીઓને થતી પરેશાની, અસુવિધાઓ અને તેઓની દાદાગીરીને લઇ હવે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યાં છે. રાજ્ય સરકારની પહેલનાં પરિણામે સરકારી શાળાઓમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની અસરની હવે જોવા મળી રહી છે. રાજકોટના વાલીઓને એ હકીકત સમજાઇ છે. સરકારી શાળાઓમાં વેલ ક્વોલિફાઇડ શિક્ષકો, લેટેસ્ટ ટેક્નોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ટર હોવાથી ખાનગી શાળાઓ કરતા ઘણી સારી છે અને એના જ કારણે આ વર્ષે 2303 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

2303 છાત્રો પૈકી 379 છાત્રોએ બીજા ધોરણમાં પ્રવેશ મેળવ્યો
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જેતપુર તાલુકામાં 420 છાત્રોએ ખાનગી શાળાને રામ રામ કરી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. અન્ય તાલુકામાં જોઇએ તો ઉપલેટામાં 214, કોટડા સાંગાણીમાં 182, ગોંડલમાં 198, જસદણમાં 288, જામકંડોરણામાં 98, ધોરાજીમાં 202, પડધરીમાં 65, રાજકોટ તાલુકામાં 301, લોધિકામાં 167, વિંછીયામાં 168 છાત્રોઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાનું જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયાએ જણાવ્યું હતું. વિશેષ વાત તો એ છે કે, કૂલ 2303 છાત્રો પૈકી 379 છાત્રોએ બીજા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે. એટલે કે, માત્ર એક જ વર્ષમાં ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

આંતરિક મૂલ્યાંકન માટે ગુણોત્સવ અમલમાં મૂક્યો
નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે શાળાઓના આંતરિક મૂલ્યાંકન માટે મહત્વનો કાર્યક્રમ ગુણોત્સવ અમલમાં મૂક્યો હતો. ગુણોત્સવના કાર્યક્રમની પરંપરા વિજયભાઇ રૂપાણીએ આગળ ધપાવી છે. ગુણોત્સવ દરમિયાન શાળાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે છે. માત્ર ભૌતિક સુવિધા જ નહીં પણ, બાળકોમાં રહેલી જ્ઞાનગ્રહણ ક્ષમતાનું પણ આકલન કરવામાં આવે છે. ગુણોત્સવમાંથી મળેલા પરિણામોને ધ્યાને લઇ વિજય રૂપાણીએ મિશન વિદ્યા કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં વાંચન, ગણન અને લેખનમાં નબળા બાળકોને પ્રિય છાત્રો ગણી શાળા સમય બાદ અભ્યાસ કરાવી સક્ષમ બનાવવામાં આવે છે.

ધોરાજી તાલુકાની એક ખાનગી શાળાને તાળા મારવાની નોબત આવી
ખાનગી શાળા સામે જ્યારે સરકારી શાળાઓ સ્પર્ધા કરવા લાગે એ વાત આનંદની છે. રાજકોટ જિલ્લામાં તો શિક્ષકોના પ્રયત્નો વિશેષ રહ્યા છે. કેટલીક શાળાના શિક્ષકોએ સરકારી શાળામાં રહેલી ખૂબીઓનું વર્ણન કરતા પેમ્પલેટ છપાવ્યા હતા. આ પેમ્પલેટ ગામ આખામાં વિતરણ કરી વાલીઓને સમજાવ્યા કે સરકારી શાળામાં ખાનગી શાળા કરતા વધુ સારૂ શિક્ષણ મળે છે અને એ પણ સાવ વિનામૂલ્યે! શિક્ષકોના આવા સઘન પ્રયત્નોનું પરિણામએ આવ્યું કે ધોરાજી તાલુકાની એક ગામની ખાનગી શાળાને તાળા મારવાની નોબત આવી. હવે, ગામના તમામ બાળકો સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.

સરકારી શાળામાં બાળકોને તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે
સરકારી શાળામાં રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધા જોઇએ તો છાત્રોને પાઠ્ય પુસ્તકો, ગણવેશ, શિષ્યવૃત્તિ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, સાયકલ, પુસ્તકાલય, જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસ રૂમથી શિક્ષણકાર્ય, કોમ્પ્યુટરશિક્ષણ, પ્રત્યેક શનિવારે અલગ અલગ વિષયની એકમ કસોટી, સતત પુનરાવર્તન કન્સેપ્ટ દ્વારા ઉપચારાત્મક શિક્ષણ કાર્ય તેમજ ધોરણ 2ના તમામ બાળકોને વાંચન, લેખન અને ગણન શિક્ષકો વેકેશન દરમિયાન સમયદાન કરી શીખવે છે. રમત ગમતના સાધનો સહિત સહશૈક્ષણિક પ્રવૃત્તિ માટેની તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે. આમેય, બાળક નાની કળી જેવું હોય છે, યોગ્ય વાતાવરણ મળે એટલે પમરાટ કરતું પુષ્પ બની જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular