જો તમે ફેરિયા હો તો તમારે તમારી પ્રચારપદ્ધતિ પર એક નજર નાખવી પડશે. તમે એ ચકાસી લેજો કે તમે વસ્તુ વેચવા જે વાકછટાનો ઉપયોગ કરો છો તેમાં કશું વાંધા જનક નથી ને, ખાસ કરીને તમારે એ વાતની કાળજી રાખવી પડશે કે તમે વસ્તુ વેચવા જે શબ્દો વાપરો છો તેમાં કોઈ રાજનેતાનું નામ તો નથી આવતુંને. જો નામ આવતું હોય તો તેના પણ પૂર્ણ વિરામ મૂકી દેજો. કેમકે એવા શબ્દપ્રયોગથી તમારે જેલની હવા ખાવી પડે છે. જેમ અવધેશ દુબે નામના એક ફેમસ ફેરિયાએ ખાધી. તો કોણ છે અવધેશ દુબે નામનો ફેરિયો અને કેમ તેને ખાવી પડી જેલીની હવા. જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં.
તમે અનેક ફેરિયા જોયા હશે. બજારમાં અને ટ્રેનમાં રમકડાથી માંડીને ગૃહવપરાશની વસ્તુ વેચતા ફેરિયાઓના નીત નવીન લહેકાઓ પણ સાંભળ્યા હશે. પરંતુ જો તમને અવધેશ દુબે નામના ફેરિયાનો ભેટો થાય તો તમે ન માત્ર તેની પાસેથી રમકડું ખરીદવા મન બનાવી લેશો પરંતુ તમે તેની અદભૂત વાકછટા અને પ્રચારરીતિથી પ્રભાવિત પણ થી જશો. આમ તો તેનો વ્યવસાય છે તો રમકડા વેચવાનો પરંતુ તે જે રીતે ગ્રાહકોને પ્રભાવિત કરે છે તેના કારણે અનેક ગ્રાહકોના દિલમાં તેણે જગા બનાવી લીધી છે. તમે પણ જુઓ તેની આ સ્ટાઈલિશ વાકછટા અને પ્રચારરીતિ
https://twitter.com/pranav_gelani/status/1134478568493277184
ઉલ્લેખનીય છે કે, ટ્રેનમાં રમકડા વેચવા સાથે અનેક નેતાઓના નામ સાથે મિમિક્રી કરનારા અવધેશ દુબે મૂળ ઉત્તર પ્રદેશના છે. પરંતુ વર્ષોથી વલસાડમાં વસવાટ કરે છે. તે રમકડા વેચવાના પોતાના આગવા અંદાજ સાથે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોમાં લોકપ્રિય બન્યા છે. તે સુરત અને વલસાડ વચ્ચે આવન-જાવન કરતી ટ્રેનોમાં રમકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ રમકડા વેચવાની તેમની આ રીતભાતથી તેમણે સૌકોઈને પ્રભાવિત કર્યા છે..અવધેશનું કહેવું છે કે, તે લોકોને ખુશ કરવા માટે આવી રીત અપનાવે છે.
નેતાઓના નામ લઈને રમકડા વેચવાની તેની આ રીત ભલે ગ્રાહકોની બહુ ગમી ગઈ હોય. પરંતુ રેલવે તંત્રને તેની આ રીત માફક નથી આવી. કેમ કે રેલવેમાં આ રીતે ચીજ વસ્તુ વેચવી તે ગેરકાયદેસર છે. વળી લોકોને મનોરંજન કરાવનાર અવધેશે વગર ટિકિટે મુસાફરી કરીને રેલ સત્તાવાળાઓને નારાજ કરી દીધા હતા. આથી રેલવે અધિકારીઓએ વગર ટિકિટે મુસાફરી કરવા અંગેનો ગુનો અવધેશ પર દાખલ કરીને તેને રેલવે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
રેલવે કોર્ટે તેને રૂપિયા સાડા ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો. અને સાથે સાથે તેને દસ દિવસની સાદી કેદની સજા પણ ફટકારવામાં આવી હતી. રાજકારણીઓ અને નેતા ઉપર કટાક્ષ કરવાની અનોખી શૈલીને કારણે તે પ્રવાસીઓને ભલે તેણે ખૂબ મનોરંજન કરાવ્યું પરંતુ તેનો વીડિયો વાયરલ થતાં તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.
રમકડાં વેચતા ફેરિયાની અટકાયત અને સજાને પગલે હવે પ્રવાસીઓમાં અને રેલવે વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે, સોશિયલ મીડિયા પર આવ્યા પછી જ તંત્રની આંખ ઊઘડે છે?. હજુ આજની તારીખે પણ આ રમકડાંવાળા ફેરિયાની જેમ સંખ્યાબંધ ફેરિયાઓ ટ્રેનોમાં બિન્ધાસ્ત રીતે રિઝર્વ્ડ કોચમાં ફરીને ખાદ્યપદાર્થ અને ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. છતાં તંત્રને કશું દેખાતું જ નથી અને જ્યારે સોશિયલ મીડિયા પર કશું વાઈરલ થાય છે અને હોબાળો મચે ત્યારે જ તંત્ર હરકતમાં આવે છે.