વડોદરા: દેશની આઝાદી પછી માં ભોમની રક્ષાકાજે શહીદી વહોરનાર આશરે 25 હજારથી વધુ જવાનોની યાદમાં આજે સવારે યોજાયેલી પરમવીર રન યોજાઇ હતી. નવલખી મેદાન ન મળતા અકોટા-દાંડિયા બજાર બ્રિજ ખાતેથી સવારે શરૂ થયેલી પરમવીર રનમાં માત્ર 100 જેટલા લોકો જોડાયા હતા. જેને પગલે સંસ્કારીનગરી ગણાતા વડોદરા માટે શરમજનક કહી શકાય તેટલા લોકો દોડયા હતા.
પરમવીર રનમાં વડોદરાના શહિદ થયેલા દિપક ફલ્ટુનકર અને વિજય પવારના પરિવાર સહિત લેફટેનન્ટ વિજયન્દ્ર શેખાવત, વિંગ કમાન્ડર એમ.એ. સરફરાજ, મીગ 21 વિમાન વિશ્વમાં સૌથી વધુ ઉડાવવાનો રેકોર્ડ ધરાવનાર એર કમાન્ડન્ટ સુરેન્દ્રસિંહ ત્યાગી સહિત યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો. પરંતુ, તાજેતરમાં પુલવામાં બનેલી ઘટના સમયે દેશદાઝ દાખવનાર વડોદરાના એક પણ વ્યક્તિ આ પરમવીર રનમાં જોડાયા ન હતા.
પરમવીર રન મિશનના યુવા સ્થાપક ચિંતન પરીખે જણાવ્યું હતું કે, દેશ માટે શહિદ થયેલા માટે આયોજીત પરમવીર રન માટે નવલખી મેદાન પણ આપવામાં આવ્યું નથી. એ તો ઠીક કોર્પોરેશન દ્વારા પણ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આપવામાં હાથ ઉંચા કરી દીધા હતા. ત્રણ વિભાગમાં આયોજીત પરમવીર રનમાં 1 થી 3 વિજેતાઓને રૂપિયા 1000 થી રૂપિયા 50,000નું ઇનામ રાખવામાં આવ્યું હતું. ઇનામની રકમ માટે સ્પોન્સરોએ ફંડ આપવા માટે ખાતરી આપી હતી. પરંતુ, સ્પોન્સરોએ પણ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ હાથ ઉંચા કરી દીધા હતા. જોકે, સંસ્થાએ સ્વ ખર્ચે વિજેતાઓને મેડલ એનાયત કર્યા છે.