સુરતઃ 16મી લોકસભાનું 16મું સત્ર એટલે કે શિયાળું સત્ર ઐતિહાસિક રહ્યું હોવાનું નવસારી સાંસદ સીઆર પાટીલ અને સુરતના સાંસદ દર્શના જરદોષે કહ્યું હતું. સાથે જ આ સત્રમાં લોકોને ઉપયોગી તથા મુસ્લિમ મહિલાઓ માટેના બીલ રજૂ કરાયા હોવાની માહિતી આપી હતી. સાથે સુરતમાં એરપોર્ટ અંગે પણ વિગતવાર માહિતી સાંસદોએ રજૂ કરી હતી.
સુરતના મહિલા સાંસદ દર્શના જરદોષ દ્વારા 19 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. 17 બેઠકોમાં કુલ 48 કલાકનું કામ થયું હતું. તેમજ 16 બીલમાંથી 12 બીલ પાસ થયા હોવાની વિગત દર્શના જરદોષ દ્વારા આપવામાં આવી હતી.
નવસારી સાંસદ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટને લઈને તેઓ અને દર્શનાબેન દિલ્હીમાં ઘણા સમયથી પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. છ મહિનામાં એક સો ફ્લાઈટ શરૂ થશે. કાર્ગો સર્વિસ 28 ફેબ્રુઆરીથી શરૂ કરાશે. તેમજ એરપોર્ટના બિલ્ડીંગનું વિસ્તૃતિકરણ કરવામાં આવનાર છે. સાથે વડાપ્રધાન જો સમય આપે તો આગામી 30મીના રોજ તેમના હસ્તે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.