નવી દિલ્હીઃ ટ્વિટરના સીઈઓ જેક ડોરસી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ભારતમાં સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાનો ઇન્કાર કર્યો છે. આઈટી બાબતોને લગતી સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાગરિકોના અધિકારના રક્ષણ મુદ્દે વાતચીત માટે સમિતિએ 1 ફેબ્રુઆરીએ ટ્વિટરને સમન્સ મોકલ્યું હતું. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરના વડપણ હેઠળની સમિતિની બેઠક પહેલાં 7 ફેબ્રુઆરીએ યોજાવાની હતી. ત્યારબાદ ટ્વિટરના સીઈઓ અને અન્ય અધિકારીઓને વધુ સમય આપીને 11 ફેબ્રુઆરીએ બેઠક બોલાવાઈ હતી.
કાલે મિટીંગમાં અંતિમ નિર્ણય લેવાશે
10 દિવસ પછી પણ ટ્વિટરે હાજર થવાને બદલે એવું કહ્યું છે કે તેમને બહુ ઓછા સમયમાં આ નોટિસ મળી છે. અગાઉ ભારતીય સંસદીય સમિતિ પહેલા અમેરિકા, સિંગાપુર, ઇયુની સંસદ પણ ટ્વિટરને બોલાવી ચૂકી છે. દરમિયાનમાં સમિતિના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે કહ્યું છે કે ટ્વિટરનું વલણ યોગ્ય નથી. તેઓ ગંભીર લાગતા નથી. તેમણે ઉમેર્યું કે ટ્વિટર આ વાતને ગંભીરતાથી નહીં લે તો અમે કાર્યવાહી કરીશું. કાલે મિટીંગમાં અંતિમ નિર્ણય લેવાશે.