ઊંઝા: ઉનાવા એપીએમસીના ચેરમેન પટેલ સુરેશભાઈ પરસોત્તમદાસ (ઐઠોર)એ સવા વર્ષમાં જ રાજીનામું આપી દેતાં સહકારી રાજકારણમાં ચર્ચાસ્પદ બન્યું છે. તેમણે 19 માર્ચ, 2018થી યાર્ડની ધૂરા સંભાળી હતી. તેમનું રાજીનામુ 1 જુલાઇએ સ્વીકારી લેવાતાં હવે નવા ચેરમેનની ચૂંટણી આવશે. જેમાં ઊંઝા એપીએમસીની જેમ ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલના સમર્થક ભીખાભાઇ પટેલ (ઉનાવા) ચેરમેન બનશે તેમ મનાય છે.
રાજીનામાં અંગે ચેરમેન સુરેશભાઈ પટેલે જણાવ્યું કે, અઢી વર્ષની ટર્મમાં પ્રથમ સવા વર્ષના ચેરમેનની નિમણૂંક સમજૂતી કરાર મુજબ હતી, જે પૂર્ણ થતાં મેં રાજીનામું આપ્યું છે. ચેરમેનનું રાજીનામુ જો સમજૂતી કરાર મુજબ હોય તો આગામી સવા વર્ષ ભાજપના પાયાના કાર્યકર અને અગાઉ માર્કેટ યાર્ડનું સુકાન સંભાળી ચૂકેલા પ્રકાશભાઈ સેંધાભાઈ દાવેદાર ગણાય. ધારાસભ્ય ડો.આશાબેન પટેલના સમર્થક પટેલ ભીખાભાઇ વિઠ્ઠલદાસ (ઉનાવા) ચેરમેન બનશે તેમ મનાય છે. વાઇસ ચેરમેન પદે અમરતભાઈ વિઠ્ઠલદાસ પટેલ (કંથરાવી)ની સંભાવના છે.