રફાલ ડીલના દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થઇ ગયા હોવાનું અગાઉ સરકારે સુપ્રીમ કોર્ટમાં કબુલ્યું હતું, આ મામલે હવે બુધવારે વધુ કેટલાક જવાબો સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યા હતા, જેમાં સરકારે કોર્ટને જણાવ્યું હતું કે રફાલના દસ્તાવેજો ચોરી થયા તે મામલાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરામાં મુક્યો છે.
આ દસ્તાવેજો રાષ્ટ્રીય સુરક્ષા માટે સંવેદનશીલ છે. અને જે પણ લોકોએ આ દસ્તાવેજોની ફોટોકોપી બનાવવાનો પ્રયાસ કર્યો છે તેમણે તેની ચોરી કરી લીક કરવાનો પ્રયાસ કર્યો છે.
સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આ સંવેદનશીલ દસ્તાવેજો લીક થવાની ઘટનામાં ૨૮મી ફેબ્રુઆરીએ તપાસ શરૃ કરવામાં આવી જે હજુ પણ જારી છે. સંરક્ષણ સચીવ સંજય મિત્રાએ જણાવ્યું હતું કે આ દસ્તાવેજો લીક થવાથી રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં મુકાઇ છે. અને જે પણ લોકો આમા સામેલ હશે તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ રીતે દસ્તાવેજોની ચોરી કરીને દેશની સુરક્ષા અને અન્ય દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો પર તેની અસર થઇ છે.
આ પહેલા એટર્ની જનરલ કે કે વેણુગોપાલે આરોપ લગાવ્યો હતો કે રફાલ અંગે જે પણ દસ્તાવેજો કોર્ટમાં અરજદારોએ રજુ કર્યા છે તેને સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરવામાં આવ્યા છે. જોકે બાદમાં બે દિવસ પછી એટર્ની જનરલે કહ્યું હતું કે આ દસ્તાવેજોની ચોરી નથી કરવામાં આવી પણ તેની કોપી કરી લેવામાં આવી હતી, જે કાયદાનો ભંગ છે.
સરકારે સોગંદનામામાં દાવો કર્યો હતો કે ફ્રાન્સ અને અન્ય દેશોની સાથે ભારતના કેટલાક કરારો છે જેમાં સંરક્ષણ સોદાની માહિતીઓને ગુપ્ત રાખવામાં આવે છે. અને જે પણ લોકોએ આ દસ્તાવેજોની કોપી કરી છે તેમણે રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં મુકી છે. સરકાર એ તપાસ કરી રહી છે કે આ દસ્તાવેજો લીક ક્યાંથી થયા જેથી ભવીષ્યમાં આવા કોઇ દસ્તાવેજો લીક થતા અટકાવી શકાય.
અગાઉ સરકારે જણાવ્યું હતું કે રફાલ સોદાના દસ્તાવેજો ચોરી થઇ ગયા છે. જેને પગલે સંરક્ષણ મંત્રાલયમાંથી આ દસ્તાવેજો ચોરી થતા સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠયા હતા અને હવે આ મામલે પોતાનો જવાબ રજુ કરતા સરકારે પણ સ્વીકાર કર્યું છે કે આ દસ્તાવેજો લીક થવા રાષ્ટ્રીય સુરક્ષા સામે મોટો ખતરો છે.