અમદાવાદ: સુપ્રીમ કોર્ટે ગુજરાતની ખાનગી સ્કૂલોના ફી મુદ્દે 14 જાન્યુઆરીએ મૌખિક આદેશો આપ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ઘણી સ્કૂલોએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરી ન હોવાનું બહાર આવતા તે તમામ સ્કૂલો સામે પગલાં ભરવાની સુપ્રીમે સરકારને છૂટ આપી છે. તેમજ આ કેસની અંતિમ સુનાવણી 12 ફેબ્રુઆરીએ થશે, જેમાં રાજ્યની શાળાઓની ફાઈનલ ફી સુપ્રીમ કોર્ટ જાહેર કરી શકે છે.
સંચાલકો ફી નિર્ધારણ કાયદાની ખામીનો ફાયદો ઉઠાવે છે:વાલી મંડળ
સંચાલકો સામે ફોજદારી પગલા ભરવાનો કાયદો બનાવો
આ અંગે વાલી મંડળના પિટીશનર નરેશ શાહે DivyaBhaskar સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ફી નિર્ધારણનો કાયદો અધકચરો હોવાથી શાળા સંચાલકો તેનો ફાયદો ઉઠાવે છે, પરંતુ આ કાયદામાં સુધારો કરીને જો કોઈ સંચાલક લીધેલી ફી સમયસર વાલીને પાછી ન આપે તો સંચાલકો સામે ફોજદારી પગલા ભરવાનો કાયદો બનાવવો જોઈએ.
સંચાલકો ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરી મોં માંગી ફી ઉઘરાવે છેઃ વાલી મંડળ
‘ફી નિર્ધારણ સમિતિમાં વાલીનો સમાવેશ ન કર્યો હોવાથી સંચાલકો દ્વારા રજૂ થતા ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન થતું નથી. જેથી સંચાલકો ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરી મોં માંગી ફી ઉઘરાવે છે. ફી નિર્ધારણ માટે ફાઈલ રજૂ કરવાની સમય મર્યાદા હોવી જરૂરી છે. આમ સંચાલકો ફી નિર્ધારણ કાયદાની ખામીનો ફાયદો ઉઠાવે છે’