સુરતઃ વેસુ ભરથાણા રોડ ઉપર એક નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ ઘસી તૂટી પડતા પાંચ જેટલા મજૂર દબાઈ ગયા હતા. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્રણ જેટલા ઓછી માટીમાં દબાયા હતા. જ્યારે વધુ માટીમાં ગરકાવ થઈ ગયેલા બે મજૂરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં એકને મૃત જાહેર કરાયો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, એટલાન્ટા એલિઝા નામના કોમ્પ્લેક્ષની માટી ઘસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.
8 મજૂર ભાગીને બહાર નીકળી ગયા
એટલાન્ટા એલિઝા નામના કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં 15થી 16 મજૂરો કામ કરતા હતા. માટીની ભેખડ ઘસી પડતા 8થી 10 મજૂર ભાગીને બહાર નીકળી ગયા હતા. પાંચ જેટલા પર માટીની દીવાલનો ભાગ પડ્યો હતો. તમામ મજૂર બિહારના હતા અને 19 દિવસથી કામ કરતા હતા. જે પૈકી ગુટલી શભૂલા શર્મા (ઉ.વ.39), ઉમા ટુકુઈ શર્મા (ઉ.વ.30) માટીમાંથી ફાયરના જવાનો દ્વારા બહાર કાઢી 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ઉમા શર્માને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.