નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળ્યાં બાદ શુક્રવારે વડાપ્રધાન મોદી અને શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા. મોદીએ ટ્વિટર પર તસ્વીર પોસ્ટ કરી લખ્યું કે, “ભાજપની જીત આજે સંભવિત બની છે, કેમકે અડવાણી જેવાં લોકોએ પાર્ટીને મજબૂત કરવા માટે દશકાઓ સુધી કામ કર્યુ છે.” જે બાદ બંને નેતાઓએ મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી. અડવાણી-જોશી ભાજપના માર્ગદર્શક મંડળમાં પણ છે.
‘હવે સ્વાદિષ્ટ ફળ અપાવવાની જવાબદારી’: વડાપ્રધાન સાથે મુલાકાત પછી મુરલી મનોહર જોશીએ મીડિયાને કહ્યું કે, “આ અમારી પાર્ટીની પરંપરા છે. અમે વયોવૃદ્ધથી શુભકામનાઓ લઈએ છીએ, જેથી ભવિષ્યમાં વધુ શક્તિની સાથે કામ કરી શકીએ. આ દ્રષ્ટીથી વડાપ્રધાન જી અને અધ્યક્ષ જી અહીં આવ્યા હતા. બંનેએ જાદૂઈ આંકડાઓ પ્રાપ્ત કર્યા છે. અમે પાર્ટીનું બીજ રોપ્યું હતું. હવે દેશને સ્વાદિષ્ટ ફળ અપાવવાની આ બંનેની જવાબદારી છે.”
“એક વાત સ્પષ્ટ થઈ કે દેશની સામે મજબૂત સરકાર બનાવવાની આવશ્યકતા હતી. એક પાર્ટી તરીકે ભાજપ અને વડાપ્રધાન તરીકે મોદીનો કોઈ વિકલ્પ ન હતો. વિપક્ષ તેની સામે કંઈ જ કરી શક્યા. હું માત્ર એક આશા રાખું છું કે પાર્ટી પોતાનું કામ યોગ્ય રીતે કરે.” જોશીને જ્યારે પૂછવામાં આવ્યું કે મોદી તેમને ત્યાં 15 મિનિટ રહ્યાં, તેઓએ કહ્યું કે વડાપ્રધાન મારે ત્યાં મહિનાઓ સુધી રહ્યાં છે, 15 મિનિટ તો ઘણી જ ઓછી છે.
Called on respected Advani Ji. The BJP’s successes today are possible because greats like him spent decades building the party and providing a fresh ideological narrative to the people. pic.twitter.com/liXK8cfsrI
— Narendra Modi (@narendramodi) May 24, 2019
રાષ્ટ્રપતિએ આજે કેન્દ્રીય મંત્રીમંડળને ડિનર રાખ્યું: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે હાલના કેન્દ્રીય મંત્રીમંડળ માટે ડિનરનું આયોજન કર્યું છે. રાષ્ટ્રપતિએ આ ડિનર આજે સાંજે 7.30 વાગે રાખ્યું છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે અને ત્યારપછી નવી સરકાર બનવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
30 મેનાં રોજ શપથ ગ્રહણની શક્યતાઃ મીડિયા રિપોટર્સ મુજબ, નરેન્દ્ર મોદી 28 મેનાં પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આભાર રેલી કરશે. જે બાદ 30 મેનાં રોજ તેમનો શપથ ગ્રહણ સમારંભ થઈ શકે છે.23 મેનાં રોજ આવેલા પરિણામમાં ભાજપ+ને 352, કોંગ્રેસ+ને 87 અને અન્યને 103 સીટ મળી છે. ભાજપે પોતાના જોરે 288 સીટ જીતી છે. મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે ક્યારેક અમે બે હતા, બીજી વખત સત્તામાં આવ્યા, પરંતુ અમે પોતાના આદર્શ ન છોડી શકીએ.