અમદાવાદઃ મૂળ ખેડા જિલ્લાના ઠાસરાના વતની અને અમદાવાદમાં સ્થાયી થયેલા યુનુસભાઇ સિકંદરભાઇ વ્હોરા(ઉ.વ.51)ની આફ્રિકાના પ્રિટોરિયાના મકોપાની ગામમાં લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી છે. અમદાવાદમાં રહેતા પરિવારજનો પણ ઘરના મોભીના આકસ્મિક અવસાનને લઇને શોકમાં છે. મૃતદેહને વતન લાવવા માટે ખૂબ લાંબી પ્રક્રિયા કરવી પડતી હોવાથી નજીકના સ્વજનો દ્વારા તેમની દફનવિધિ કરવામાં આવી હતી.
પાર્ટનરશિપમાં મોલ શરૂ કર્યો હતો
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રહેતા યુનુસભાઇ સિકંદરભાઇ વ્હોરા (ઉ.વ.51) 9 વર્ષ અગાઉ આફ્રિકા ગયા હતા. તેઓ આફ્રિકાના પ્રિટોરિયાના મકોપાની ગામમાં સ્થાયી થયા અને ત્યાં પાર્ટનરશિપમાં મોલ શરૂ કર્યો હતો. જેમની મદદથી યુનુસભાઇએ આ શોપ શરૂ કરી હતી. તે મૂળ માલિકની બે દુકાનો હતી. 20 જૂનને ગુરૂવારના રોજ યુનુસભાઇની ગાડી બગડી હોવાથી તેઓએ દુકાન વધાવવા સમયે કોઇને લેવા આવવા માટે કહ્યું હતું.
ગોળી માર્યા બાદ લૂંટારૂઓએ 20 થી 25 મિનિટ લૂંટ ચલાવી
ત્યાર બાદ સાંજે 4.30 વાગ્યાની આસપાસ યુનુસભાઇને લેવા માટે બીજી દુકાનમાં બેસતાં કર્મચારી આવ્યા અને બધા જ સાંજે 5 વાગ્યાના અરસામાં બીજી દુકાને પહોંચ્યા હતા. આ દરમિયાન દુકાનમાં લૂંટારૂઓ ઘુસ્યા છે તે વાતથી અજાણ વડીલ ગાડીમાંથી ઉતરી દુકાનમાં જતાં જ ત્યાં હાજર લૂંટારૂઓએ તેમને મારમારી જમીન ઉપર સુવડાવી દીધા હતા. આ વડીલને આવતાં વાર લાગતા સાથેના બીજા એક કર્મચારી દુકાનમાં તપાસ કરવા ગયા, જ્યાં તેમને પણ લૂંટારૂઓએ મારમારીને જમીન ઉપર સુવડાવી દીધા. દુકાનમાંથી એકાએક ફાયરિંગનો અવાજ આવતાં ગાડીમાં બેઠેલા યુનુસભાઇ ગાડીમાંથી ઉતરી દુકાન તરફ જઇ રહ્યા હતા. આ સમયે ગાડી પાછળ ઉભેલા એક લૂંટારૂએ ગોળી મારી દેતાં યુનુસભાઇ ત્યાંજ ફસડાઇ પડ્યા હતા. યુનુસભાઇને ગોળી માર્યા બાદ લૂંટારૂઓએ 20 થી 25 મિનિટ લૂંટ ચલાવી સાથે સાથે તોડફોડ પણ કરી હતી.
પરિવારમાં પુત્ર-પુત્ર વધુ અને પત્ની
લૂંટારૂઓ સી.સી.ટી.વી. કેમેરા અને ડી.વી.આર. પણ તોડી ગયા હતા. આ ઘટનામાં 4 સ્થાનિક લૂંટારૂઓ સંડોવાયેલા હતા. યુનુસભાઇના મોતના સમાચાર મળતાં જ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. મૃતક યુનુસભાઇ યુનુસભાઈનો પરિવાર અમદાવાદમાં રહે છે. યુનુસભાઈનો પરિવાર અમદાવાદના જમાલપુરમાં રહે છે. જેમાં તેમના પત્ની, પુત્ર સલમાન વ્હોરા,પુત્રવધુ રહે છે. પુત્ર સલમાન ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે પુત્રીના લગ્ન ગોમતીપુરમાં કરવામાં આવ્યાં છે. આફ્રિકામાં લૂટારુંઓના હુમલામાં મૃત્યુ પામેલા યુનુસભાઇ 20 દિવસ પહેલા જ દાદા બન્યા હતા. પુત્ર સલમાનના ઘરે 20 દિવસ પહેલા જ પુત્રીનો જન્મ થયો હતો.