અમદાવાદઃ ઓઢવના અર્બુદાનગરમાં રહેતતી 4 સંતાનની લકવાગ્રસ્ત માતાને પથારીમાં જ શૌચક્રિયા થતી હતી. ચાર ટેનામેન્ટ અને 3 દુકાનો ધરાવતી આ માતાએ દરેક પુત્રના નામે એક-એક મિલકત કરી દીધા બાદ નાનો પુત્ર તેની દેખરેખ રાખતો હતો પરંતુ માતા શૌચક્રિયા પણ પથારીમાં કરતી હોવાથી નાની પુત્રવધુ તેને એક જ ટાઈમ જમવાનું આપતી અને શૌચક્રિયા ન થાય તેની દવા આપતી. ભત્રીજાએ ચાર સંતાનની માતાની આ સ્થિતિ જોઈ મહિલા હેલ્પલાઈનની મદદ માગી હતી. કાઉન્સેલિંગના અંતે મોટા પુત્રએ હવે તેની સારસંભાળની જવાબદારી લીધી છે.
મહિલા કાઉન્સેલર શીતલબહેને કહ્યું કે, ‘ચંદ્રકલાબેન પાસે જતાં જતાં તેમને ઉબકા આવી રહ્યાં હતાં, કેમ કે તેમણે પથારીમાં જ શૌચક્રિયા કરવી પડતી હતી. પાંચ વર્ષથી આ જ સ્થિતિમાં હતાં. તેમને યુરિન માટેની પાઇપ લગાવેલી હતી, પણ તે કોઈએ બદલી નહોતી.’ કાઉન્સેલર તેમના ઘરે પહોંચ્યાં ત્યારે ભેરુલાલ અને તેની પત્ની બબલી રાજસ્થાન ગયાં હતાં. વૃદ્ધ માતાને ભેરુલાલે ત્રણ દિવસ પહેલાં જે ડાયપર પહેરાવ્યું હતું તે જ ડાયપરમાં તે હતાં.
આ સ્થિતિ જોઈને કાઉન્સેલરે તેમના બંને મોટા દીકરા અને તેમની પત્નીઓને બોલાવ્યાં હતાં. વૃદ્ધ મહિલાની મોટી પુત્રવધૂએ કહ્યું હતું કે, હું પહેલાં સાસુને ટિફિન આપવા આવતી હતી, પણ બબલી ઝઘડો કરતી હોવાથી અમે આવવાનું બંધ કરી દીધું હતું. બીજી તરફ ભેરુલાલ અને તેની પત્નીને રાજસ્થાનથી બોલાવી આખા પરિવારનું કાઉન્સેલિંગ કરાયું હતું.
નાના દીકરાએ કહ્યું, મારે પણ છૂટાછેડા લેવા છે
કાઉન્સેલરે વૃદ્ધ માતાને જમ્યા કે નહીં? તેમ પૂછતા તેમણે કહ્યું કે, હું જમી નથી. જમવાનું બનાવ્યું નથી. તો આ વિશે નાસ્તો કરી રહેલી પુત્રવધૂ બબલીને પૂછતાં તેણે કહ્યું કે, ઘરમાં લોટ ન હોવાથી જમવાનું બનાવ્યું નથી. જ્યારે ભેરુએ કહ્યું હતું કે, ‘હું પોતે બહાર જમું છું. મારી પત્ની ચા બનાવતી નથી. મારે છૂટાછેડા લેવા છે, તે મને છોડવા તૈયાર નથી.’