અમદાવાદઃ પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી રૂ. 500-1000ની જુની ચલણી નોટો રદ કરી હતી. જોકે નોટબંધી કર્યાના લગભગ 3 વર્ષ બાદ પણ લોકો પાસે હજુ કરોડોની કિંમતની જૂની નોટો પડી છે. હવે આ લોકો પકડાઈ જવાના ડરથી નોટોથી છૂટકારો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આજે શહેરના દૂધેશ્વર નજીક સાબરમતી નદીમાંથી રૂ. 13 લાખના 500-1000ના જૂની ચલણી નોટોના બંડલો મળ્યા હતા. પહેલી નજરે જોતા લાગી રહ્યું છે કે જૂની નોટો સાથે પકડાઈ જવાના ડરના કારણે કોઈ પાણીમાં ફેંકીને જતું રહ્યું હોય શકે. આ બંડલ કોના છે અને તેને કોણ ફેંકી ગયું? તે અંગે તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાંથી ઘણી જગ્યાએ જૂની ચલણી નોટો સાથે લોકોની અટકાયત થઈ ચૂકી છે. આ પહેલા અમદાવાદમાં સહિત રાજકોટ, વડોદરા અને સુરતમાંથી કરોડોની કિંમતની જૂની નોટો પકડાઈ ચૂકી છે.