અમદાવાદ: સિવિલ હોસ્પિટલનાં ઓર્થોપેડિક વિભાગના સર્જને પોરબંદરનાં 58 વર્ષનાં વૃદ્ધની દુરબીનથી 7 કલાકની કી-હોલ સર્જરી કરીને દર્દમુક્ત કર્યા છે. મહત્વની વાત એ છે કે, ઓબ્લીક લમ્બર ઇન્ટરબોડી ફ્યૂઝન નામની સર્જરી પીઠને બદલે પેટનાં ભાગે 20 મિલિમીટર (એમએમ)ના નાના કાણામાં દુરબીન પસાર કરીને કરોડરજ્જુને કેજ(પાંજરું) અને 4 સ્ક્રૂ નાંખી જોડવામાં આવી છે. પ્રાઇવેટમાં ખર્ચાળ ગણાતી આ સર્જરીમાં યોજના અંતર્ગત નિ:શુલ્ક કરાઇ છે. ઉપરાંત સિવિલના સર્જનોની ટીમ સાથે અમેરિકા-યુકેનાં ડોક્ટરોની ટીમે જન્મજાત ખોડ(સ્કોલીયોસીસ)થી વાંકી વળેલી કરોડરજ્જુની ત્રણ સર્જરી કરી છે.
સર્જરીમાં 4 સ્ક્રૂ અને પાજરું મૂકી મણકાને સપોર્ટ અપાય છે
પરંપરાગત કરોડરજ્જુની સર્જરી પીઠના ભાગેથી કાપો મૂકીને સ્ક્રૂ અને રોડ ફિટ કરાય છે. જ્યારે આ સર્જરીમાં પેટનાં ભાગે માત્ર 20 મીમીનું નાનું કાણું પાડીને ખસી ગયેલા બે મણકા જોડવા માટે 4 સ્ક્રૂ અને કેજ(પાંજરું) મૂકીને બે મણકા વચ્ચેની ઊંચાઇને સ્થિર રહે તે રીતે સપોર્ટ અપાય છે. જેથી દર્દીને દુખાવામાં કાયમી રાહત મળે છે.
ઓબ્લીક લમ્બર ઇન્ટબોડી ફ્યૂઝન સર્જરી સિવિલમાં પ્રથમવાર કરાઇ
સિવિલનાં ઓર્થોપેડિક સર્જન ડો. જે.પી. મોદી કહ્યું, પોરબંદરનાં 58 વર્ષીય સમરા વાઢેરને 8 મહિનાથી પીઠના નીચેના ભાગે સખત દુખાવાની તકલીફ હતી. તેમની તપાસ કરતાં ઉંમરને લીધે ઘસારાથી દર્દીનાં બે મણકા ખસી ગયા હતા. આ મણકાને જોડવા પીઠને બદલે પેટમાં 20 મીમીનું કાણું પાડીને ઓબ્લીક લમ્બર ઇન્ટબોડી ફ્યૂઝન સર્જરી સિવિલમાં પ્રથમવાર કરાઇ છે
સ્કોલિયોસીસથી પીડાતા ત્રણની સર્જરી
જન્મજાત ખોડ(સ્કોલિયોસીસ)થી વાંકી વળેલી કરોડરજ્જુની ત્રણ સર્જરી કરાઇ છે. અમેરિકાથી આવેલાં ડો. દિલીપસેને કહ્યું કે, અમેરિકા કરતાં ભારતમાં રિસોર્સને અભાવે સ્કોલીયોસીસનાં વધુ ગંભીર કેસ આવે છે. અમેરિકામાં ભારત કરતાં 10 ગણો વધુ ખર્ચ થાય છે.