ઈન્ડિયન પ્રીમિયર લીગની બારમી સિઝનના બીજા દિવસે ડબલ ધમાલ મુકાબલા જોવા મળશે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. જ્યારે રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. કોલકાતાની ટીમનુ સુકાન દિનેશ કાર્તિકના હાથમાં છે અને તેઓ હોમગ્રાઉન્ડ પર જીત સાથે શરૃઆત કરવાના ઈરાદા સાથે ઉતરશે. જ્યારે હૈદરાબાદના કેપ્ટન તરીકે ગત વર્ષ સુધી વિલિયમસન હતો, જોકે આ વખતે આઇપીએલની કેપ્ટન્સ મિટિંગમાં ભુવનેશ્વરની હાજરી કેપ્ટન્સીમાં થયેલા પરિવર્તનને દર્શાવે છે કે નહી તેનો ખ્યાલ આવતીકાલે ટોસ ઉછાળવા કોણ આવે છે, તેના પરથી આવશે. ઈડન ગાર્ડનમાં સાંજે ૪.૦૦ વાગ્યાથી મુકાબલો ખેલાશે.
જ્યારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાત્રે ૮.૦૦ વાગ્યાથી યજમાન ટીમનો મુકાબલો પ્રવાસી દિલ્હી કેપિટલ્સ સામે થશે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની મુંબઈ ટીમ ત્રણ વખત ટાઈટલ જીતી ચૂકી છે, જ્યારે દિલ્હીની ટીમ આઇપીએલના ઈતિહાસની સૌથી નબળી ટીમ સાબિત થઈ ચૂકી છે. હવે ચીફ કોચ પોન્ટિંગ અને મેન્ટોર ગાંગુલી કેવી રીતે દિલ્હીની ટીમને જીત તરફ અગ્રેસર કરે છે, તે જોવાનું રહેશે.
કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે બરોબરીનો મુકાબલો
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનના પ્રારંભ અગાઉ જ કોલકાતાને ત્રણ ફાસ્ટરો ગુમાવવા પડયા છે. શિવમ માવી અને કમલેશ નગરકોટી જેવા બે યુવા ફાસ્ટરોની સાથે સાઉથ આફ્રિકાનો ટોચનો બોલર નોર્ટ્જ પણ ઈજાના કારણે ખસી ગયો છે. આમ છતાં દિનેશ કાર્તિકની ટીમમાં એન્ડ્રે રસેલ, સુનિલ નારાયણ, કુલદીપ યાદવ, ન્યુઝીલેન્ડનો લોકી ફર્ગ્યુસન જેવા બોલરો છે, જે બાજી પલ્ટી શકે છે. બીજી તરફ હૈદરાબાદની ટીમમાં પણ ભુવનેશ્વર રાશિદ ખાન, શાકીબ ઉલ હસન, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, બાસીલ થામ્પી અને શાહબાઝ નદીમ જેવા બોલરો છે. જેના કારણે બેટ્સમેનોનો દેખાવ નિર્ણાયક સાબિત થઈ શકે છે. હૈદરાબાદને વોર્નર, ગપ્ટિલ, વિલિયમસન, યુસુફ પઠાણ, બેરસ્ટો જેવા બેટ્સમેનો પર ભરોસો છે. વિજય શંકર તેમજ દીપક હૂડા ઓલરાઉન્ડર તરીકે જાદુ ચલાવી શકે છે.
કોલકાતાની બેટીંગનો આધાર કેપ્ટન કાર્તિક ઉપરાંત ક્રિસ લીન, શુભમન ગીલ, કાર્લોસ બ્રાથવેઈટ, નિતિશ રાણા, ઉથપ્પા અને રસેલ પર રહેશે.
મુંબઈ ઈન્ડિયન્સને પ્રભુત્વ જાળવવાની આશા : દિલ્હી નવી શરૃઆત માટે ઉત્સુક
આઇપીએલમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને તેનો દબદબો જાળવી રાખવાની આશા છે. જ્યારે ગાંગુલી અને પોન્ટિંગ ભારતની યુવા પ્રતિભાઓને જીત માટે પ્રેરણા આપી શકશે કે નહી તે જોવાનું રહેશે.
કેપ્ટન રોહિત શર્માની સુપરસ્ટાર ટીમમા બુમરાહ, પંડયા બ્રધર્સ, પોલાર્ડ, ડી કૉક, યુવરાજ, લુઈસ, કટિંગ, પોલાર્ડ તેમજ ઈશાન કિશન અને માર્કન્ડે જેવા દિગ્ગજ ક્રિકેટરો છે, જે મેચનું પાસુ પલ્ટી નાંખવા માટે સક્ષમ છે. જ્યારે દિલ્હીની કેપ્ટન્સી યુવા ખેલાડી શ્રેયસ ઐયર પાસે છે. દિલ્હીમાં ધવન, ઈશાંત, અમીત મિશ્રા અને સાઉથ આફ્રિકાના મોરીસ જેવા અનુભવી ખેલાડીઓ છે, તેની સાથે સાથે ઐયર ઉપરાંત રિષભ પંત, પૃથ્વી શૉ જેવા યુવા ખેલાડીઓ પર છે. અક્ષર પટેલનો અનુભવ પણ ટીમને માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જ્યારે ઈન્ગ્રામ, રબાડા, કોલીન મુનરો અને બોઉલ્ટ જેવા ખેલાડીઓ મેચનું પાસુ પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે.