નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથ અને 19 મેના રોજ બદ્રીનાથ જવાના છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરો થયા પછી વડાપ્રધાન મોદી બાબા કેદારનાથના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને અહીં વિકાસકાર્યોના પ્રોજેક્ટનો પણ રિવ્યૂ કર્યો હતો. અંતે મોદી અહીં એક ગુફામાં ધ્યાન ધરવા બેઠા હતા.
વડાપ્રધાન કેદારનાથમાં જ રાત્રિ રોકાણ કરવાના છે. પીએમ મોદીની આ યાત્રાને ધ્યાનમાં રાખીને પ્રશાસન, પોલીસ અને એસપીજી દ્વારા બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે.
પીએમઓ કાર્યાલય તરફથી વડાપ્રધાન મોદીના શનિવાર-રવિવારના કેદારનાથ-બદ્રીનાથના કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી આ માહિતી ચૂંટણી પંચને પણ આપવામાં આવી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, અમને આ વિશે કોઈ તકલીફ નથી.
ચૂંટણી પંચના ઓફિસરોએ કહ્યું છે કે, આ વડાપ્રધાનની પર્સનલ યાત્રા છે, તો તે કરી શકાય છે. જોકે પીએમઓને યાદ અપાવી દેવામાં આવ્યું છે કે, આચાર સંહિતા હજી પણ લાગુ જ છે.
કેદારનાથમાં રાત્રિ વિશ્રામ કરશે મોદી
વડાપ્રધાન બન્યા પછી મોદી કેદારનાખમાં રાત્રિ વિશ્રામ કરશે. તેથી અહીં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. મોદી ગયા વર્ષે નવેમ્બરમાં પણ કેદારનાથ આવ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. 2017માં પણ તેઓ બે વાર (મે અને ઓક્ટોબર)માં કેદારનાથ પહોંચ્યા હતા.
પોલીસકર્મીઓ મોબાઈલનો ઉપયોગ નહીં કરે: ડીજીપી
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે મોદીની બે દિવસની યાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત પોલીસ કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, જવાન જાણ કર્યા વગર ડ્યૂટી સ્થળ નહીં છોડે. ડ્યૂટીમાં બેદરકારી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.