નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા થયા બાદ પાર્ટીઓની ચૂંટણી પ્રચાર અને જાહેર સભાઓએ તેજ થઇ ગઇ છે. દરેક પક્ષ બીજા પક્ષ પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યું છે અને ફરિયાદ લઇને ચૂંટણી આયોગના દરવાજે પણ પહોંચીને ફરિયાદ કરી રહ્યું છે. આવા જ એક પ્રયાસમાં કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન મોદીની વિરુધ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પુર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહની આગેવાનીમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ભાજપ વિરુદ્ધ આચાર સંહિતાના દુરઉપયોગની ફરિયાદ કરી હતી.
ચૂંટણી આયોગ સામે કુલ 3 મુદ્દાઓ કોંગ્રેસ ઉઠાવ્યા હતા. આયોગ સાથે બેઠક કર્યા બાદ કોંગ્રેસી વરિષ્ઠ નેતા આરપીએન સિંહે જણાવ્યું કે લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગૂ હોવા છતા પેટ્રોલ પંપો અને એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લગાવેલા પોસ્ટર્સ હટાવાયા નથી. વધુમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે ભાજપના નેતાએ કરેલી અશ્લિલ ટિપ્પણીઓ તેમજ ભાજપ સેનાનો ઉલ્લેખ પોતાના રાજકીય લાભ ખાટવા કરી રહ્યો છે એવી ફરિયાદ પણ કરી છે.
કોંગ્રેસે દાખલ કરેલી ફરિયાદના અનુસંધાનમાં ચુંટણી આયોગે જણાવ્યું કે પ્રધાનમંત્રીના કેટલા પોસ્ટર અને બેનર્સ પેટ્રોલ પંપો અને એરપોર્ટ પર લાગેલા છે તે વિશે આજ રાત્રિ સુધી અહેવાલ આવી જશે. વધુમાં તેઓને હટાવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. આ મામલે ચૂંટણી આયોગ રાત્રે વિસ્તારથી જાણકારી આપશે. રાહુલ વિશે કરેલી અશ્લિલ ટિપ્પણીઓ મામલે પણ ચૂંટણી આયોગે વિવાદિત ટેપ મંગાવી છે. સેનાના ઉલ્લેખ વડે કોઇ પણ પ્રકારની રાજકીય પબ્લિસીટી લેવા અંગે પણ આયોગે પાર્ટીઓને સ્પષ્ટ દિશાનિર્દેશ પહેલેથી આપ્યો છે.