મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા મહેસૂલ વિભાગ સૌથી ભ્રષ્ટ હોવાનું નિવેદન કરવામાં આવ્યું છે. ત્યારે આ નિવેદનને યોગ્ય ઠેરવતો અને મહેસૂલ વિભાગ સાથે સંકળાયેલો ભ્રષ્ટાચારનો કથિત મામલો સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના મામલતદાર એચ.એચ. પંજાબી દ્વારા કથિત 20 લાખની લાંચ લેવાના મામલે ખેડૂતોએ એસીબીમાં રજૂઆત કરવામાં આવી છે. હાલ ભાણવડ ફરજ બજાવતા મામલતાદર પંજાબીએ મહેસૂલ વિભાગના નીતિનિયમો નેવે મુકીને આરએસપીએલ ઘડી કંપની તરફી ચૂકાદો આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ખેડૂતોના આંતરિક રસ્તા અને રાજમાર્ગ પર ખેડૂતોના અબાધિત હક્ક હોવા છતાં કંપની તરફી ચૂકાદો આપવામાં આવ્યો. ખેડૂતો પાસે મામલતદારે 20 લાખની રકમની માંગણી કરી આ મામલે હુકમ કરી દેવાની ખાતરી આપી હોવાનો દાવો ખેડૂતોએ કર્યો છે. જો કે ખેડૂતોએ આ રકમ આપવાનો ઇન્કાર કરતા મામલતદારે ખેડૂતોને બદલે કંપનીની તરફેણમાં ચૂકાદો આપ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સમગ્ર મામલે હવે ખેડૂતોએ એસીબીમાં મામલતદાર વિરૂદ્ધ ફરિયાદ કરી છે.