ગાંધીનગર: ચૂંટણીના મતદાનની તારીખ નજીક આવી રહી છે. ત્યારે ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 5મીએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોના ફોર્મની ચકાસણીના અંતે 11 ફોર્મ રદ કર્યા હતા અને 34 ઉમેદવારી માન્ય રાખી હતી. ઉમેદવારી પાછી ખેચવાના પ્રથમ દિવસે 7 અપક્ષ ઉમેદવારોએ જંગ નહીં લડવાનો નિર્ણય કરી ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
આ સાથે હાલમાં 27 ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. હજુ તારીખ 8મીએ છેલ્લા દિવસે પણ વધુ ઉમેદવારો ચૂંટણી યુદ્ધમાંથી બહાર નીકળી જવાની શક્યતા છે. પરંતુ તંત્રને પણ એવી શક્યતા દેખાઇ રહી છે કે બે ઇલેકટ્રોનિક વોટિંગ મશીન મુકવા પડે તેવી સ્થિતિ રહી શકે છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ કે લાંગાએ જણાવ્યું કે, એક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં 16 ઉમેદવારના નામ સમાવી શકાય છે. પરિણામે જો આટલી સંખ્યામાં જ ઉમેદવારો રહે તો એક જ ઇવીએમનો ઉપયોગ થશે. જો ચૂંટણી લડતા ઉમેદવારોની સંખ્યા 16થી વધારે રહેશે તો મતદાન કરવા માટે દરેક મતદાન કેન્દ્રમાં બે ઇવીએમ લગાવવાના થશે. નોંધવું રહેશે કે લોકસભા ચૂંટણી 2014 વખતે ગાંધીનગર બેઠક પર અંતિમ જંગમાં 18 ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા.
આમ આ વખતે ગાંધીનગર સીટ માટે યોજાનારી ચૂંટણીમા ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમા સોમવાર સુધીમા ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આજે સાત ઉમેદવારે તેમની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.
શનિવારે ઉમેદવારી પાછી ખેંચનારા તમામ ઉમેદવાર અપક્ષ હતા. તેમાં બોપલ અમદાવાદના કાછડિયા કેશવલાલ, બોપલ અમદાવાદના જ કીરણ પટેલ, ગાંધીનગર સેક્ટર 14ના ગોસ્વામી અમિતભારતી, સેક્ટર 4ના દેસાઇ મોતીભાઇ, સાબરકાંઠાના ભાંખરા ગામના પાંડોર કોશિકકુમાર, માણસાના રિદ્રોલ ગામના સુથાર દિપકભાઇ અને અમદાવાદના રખિયાલના સુરેન્દ્રકુમાર શાહનો સમાવેશ થાય છે.
તારીખ 8મી એપ્રિલના દિવસે સાંજે 6 વાગ્યા સુધી ઉમેદવારી પાછી ખેંચવાની સમય મર્યાદા નિયત કરવામાં આવી છે. ત્યારે શનિવારે 7 અપક્ષ મેદાનમાંથી નીકળી ગયા પછી હજુ પણ 16 અપક્ષ ઉમેદવાર બાકી રહ્યાં છે. પરંતુ સોમવારે તેમાંથી પણ કેટલાક ઉમેદવારી પાછી ખેંચે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.