ગાંધીનગરના રૂપાલમાં દારૂ પીને આવીને સરગાસણ પાસે દારૂના નશામાં છાકટા બનેલા ત્રણ યુવાનોએ રાત્રી કર્ફ્યુ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીઓ ઉપર હિંચકારો હુમલો કરતા દોડી આવેલી સેકટર-7 પોલીસે ત્રીજું નેત્ર ખોલીને ત્રણેય યુવાનોને લમગારી તેમનો નશો ઉતારી દીધો હતો. ત્યારે પોલીસનું રોદ્ર સ્વરૂપ જોઈને ત્રણેય યુવાનો ફફડી ઉઠયા હતા. આ બનાવના પગલે સેકટર-7 પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગરમાં ચાલી રહેલાં રાત્રી કર્ફ્યુની અમલવારી કરાવવા માટે સેક્ટર-7 પોલીસના જમાદાર ઝવેરભાઈ તેમજ અમિતભાઈ ગઈકાલે સરગાસણ પ્રમુખ નગર પાસે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ત્યારે ત્રણ યુવાનો રાત્રિના સમયે એકટીવા ઉપર જઈ રહ્યા હતા. જેના પગલે પોલીસે તેઓને અટકાવીને રાત્રી કર્ફ્યુ દરમિયાન બહાર નીકળવાનું કારણ પૂછતા તેઓએ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.
જેથી જમાદાર ઝવેરભાઈ ગાળો નહી બોલવાનું જણાવતા તે વધુ ઉશ્કેરાઈ ગયા હતા. આ ત્રણેય યુવાનો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જણાતા ઝવેરભાઈ એ જરૂરી પૂછપરછ કરી હતી. આ સાંભળીને ત્રણેય જણાયે ઝવેરભાઈ પર હિચકારો હુમલો કર્યો હતો અને તેમની ફેંટ પકડી લીધી હતી. દારૂના નશામાં છાકટા બનેલા યુવાનોએ અચાનક હુમલો કરતા પોલીસે મદદ માટે પીસીઆર વાન બોલાવા માટે ફોન કર્યો હતો.
તે દરમિયાન યુવાનોએ ઝવેરભાઈના હાથમાંથી મોબાઇલ ઝુંટવી લઈને ફેંકી દઈ ઝપાઝપી શરૂ કરી દીધી હતી. બાદમાં જેમ તેમ કરીને તેઓએ પીસીઆર વાનને સ્થળ પર બોલાવી લીધી હતી અને બળપ્રયોગ કરીને વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. તેમ છતાં ત્રણે યુવાનોએ પીસીઆર વાનમાં પણ પોલીસ પર ફરીવાર હુમલો કર્યો હતો. બાદમાં ત્રણેય યુવાનોને સેકટર-7 પોલીસ મથકે લઈ આવ્યા પછી પણ તેઓનો ગુસ્સો સાતમા આસમાને રહ્યો હતો આખરે પોલીસે ત્રીજું નેત્ર ખોલીને ત્રણેય યુવાનોને લમગારતા યુવાનો ફફડી ઉઠયા હતા.
બાદમાં તેમની કડકાઇથી પૂછતાછ શરૂ કરતા રૂપાલ ગામના અક્ષય ભરતભાઈ પટેલ, દિવ્યાંગ વિનોદભાઈ ચાવડા તેમજ સરગાસણના પ્રમુખ નગર મકાન નંબર એ/101મા રહેતો કેતુલ દિલીપભાઈ પટેલ હોવાનું ખુલવા પામ્યું હતું. આ અંગે સેકટર-7 પોલીસ મથકના ડી સ્ટાફ પીએસઆઈ એમ.એસ.રાણા એ જણાવ્યું હતું કે, ત્રણેય યુવાનો રૂપાલમાં દારૂ પીને સરગાસણ તરફ આવ્યા હતા અને ફરજ નિભાવી રહેલ પોલીસ પર હુમલો કર્યો હતો. જેનાં પગલે તેમનાં વિરુદ્ધ ઈપીકો કલમ 186 ,332, 427 તેમજ 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.