ગાંધીનગરઃ ખેડૂતોને વેચાતી જીએસએફસીના સરદાર બ્રાન્ડ ખાતરની બેગમાં વજન ઓછું હોવાનો મુદ્દો કેબિનેટ બેઠકમાં ચર્ચાયો હતો જેમાં મુખ્ય સચિવે જીએસએફસી દ્વારા લેવાયેલા પગલાંની માહિતી રજૂ કરી હતી. ખાતર ઓછું હોવા અંગે કમિટી દ્વારા તપાસ થઇ રહી છે બીજીતરફ આધુનિક ટેક્નોલોજી સાથેના મશીન વસાવાઇ રહ્યા અંગેની માહિતી અપાઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવણીની સિઝન નજીક હોવાથી ખાતરના પુરવઠા પર કોઇ અસર ન પડે અને ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તેનું ધ્યાન રાખવા સૂચના આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જીએસએફસીના એમડી સુજિત ગુલાંટીએ બે દિવસ પહેલા પત્રકાર પરિષદમાં સ્વીકાર્યું હતું કે ખાતરમાં ભેજને કારણે એકથી બે ટકા વજન ઘટી શકે છે પરંતુ તેથી વધુ વજન પણ ઘટ્યું હોવાથી કમિટી તપાસ કરી રહી છે, તેના રિપોર્ટ બાદ જ સાચી હકીકતનો ખ્યાલ આવી શકશે. બીજીતરફ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પત્રકારો સાથેની વાતચીતમાં સીધો નિર્ણય જ જાહેર કરી દીધો હોય તેમ કહ્યું હતું કે સરેરાશ 250 ગ્રામ વજન ઓછું છે જે ભેજના કારણે જ ઘટ્યું છે. ફળદુએ એમ પણ કહ્યું હતું કે બેગમાં જે ઓછું વજન થયું છે તેની કિંમત માત્ર 16 લાખ રૂપિયા છે જેથી તેને કૌભાંડ ન કહી શકાય.