- Advertisement -
વડોદરાઃ અઢી માસ પૂર્વે પાદરા તાલુકાના ચાણસદ ગામની સીમમાંથી યુવાનની હત્યા કરાયેલી વિકૃત લાશ મળી આવી હતી. આ યુવાનને તેની પત્નીના પ્રેમીએ વડોદરામાં મજૂરી કામ કરતા બે ભાઇઓને સોપારી આપીને મોતને ઘાટ ઉતારાયો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. વડોદરા જિલ્લા પોલીસે આ હત્યા કેસમાં એક સગીર સહિત ત્રણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમિકાનું લગ્ન થઇ જતા મનોજ નાસીપાસ થઇ ગયો
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. એચ.પી.પરમારે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના પ્રતાપપુરા ગામનો વતની શાંતિલાલ ઉર્ફ સુરેશ પ્રતાપ બારીયા વડોદરા નજીક દશરથ ગામમાં રહેતો હતો. અને સેન્ટરીંગનું કામ કરીને ગુજરાન ચલાવતો હતો. તેના 10 માસ પહેલાં જ દાહોદ જિલ્લાના દાંતિયા ગામમાં મુખી ફળિયામાં રહેતા પ્રતાપ મનસુખ ચૌહાણની દીકરી લલિતાબહેન સાથે થયું હતું. જોકે, લલિતાને ગામમાં જ રહેતા મનોજ ઉર્ફ મનુ કલસિંગ ચૌહાણ સાથે પ્રેમ સબંધ હતો. પ્રેમિકા લલિતાનું લગ્ન થઇ જતા મનોજ ઉર્ફ મનુ નાસીપાસ થઇ ગયો હતો.
યુવાનને ધંધાના બહાને બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધો
મનોજ ઉર્ફ મનુ કોઇપણ હાલતમાં પ્રેમિકા લલિતાને પામવા માંગતો હતો. જેથી તેણે વડોદરામાં સેન્ટરીંગનું કામ કરતા પોતાના ગામના મિત્ર પંકેશ રમેશ ડામોરને શાંતિલાલ ઉર્ફ સુરેશનું મોતને ઘાટ ઉતારી દેવા માટે સોપારી આપી હતી. પંકેશે તેના ભાઇ પરેશ તેમજ એક સગીરની મદદ લઇને શાંતિલાલ ઉર્ફ સુરેશ બારીયાને તા.13-1-019ના રોજ ચાણસદ ગામની સીમમાં ધંધાના બહાને બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
શાંતિલાલ બારીયાની ગુમ થયાની ફરિયાદ નોંધાઇ
છાણી પોલીસ મથકમાં તા.23-1-019ના રોજ શાંતિલાલ ઉર્ફ સુરેશ બારીયાની ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. ગુમ થયેલા શાંતિલાલ ઉર્ફ સુરેશનો ફોટો અને તેની લાશનો ફોટો તેના પરિવારજનોને બતાવી ઓળખ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્પષ્ટ ઓળખ થઇ ન હતી. પરંતુ પોલીસને મરનાર શાંતિલાલ ઉર્ફ સુરેશ જ હોવાની ચોક્કસ ખાતરી હોવાથી પોલીસે ટેકનોલોજીની મદદ લઇ તપાસ ચાલુ રાખી હતી. જેમાં શાંતિલાલ ઉર્ફ સુરેશ બારીયાની પત્ની લલિતાના તેના જ ગામના મનોજ ઉર્ફ મનુ ચૌહાણ સાથે પ્રેમ સબંધ હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે શાંતિલાલ ઉર્ફ સુરેશ બારીયાની રહસ્યમય હત્યાનો પર્દાફાશ કર્યો હતો.
મનોજ ચૌહાણ, પરેશ ડામોર અને એક સગીરની ધરપકડ
આ ગુનામાં મનોજ ઉર્ફ મનુ ચૌહાણ, પરેશ ડામોર અને એક સગીરની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનામાં ફરાર પંકેશ ડામોરની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આ બનાવમાં પતિની હત્યામાં તેની પત્ની લલિતાની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.